એસ.બી. મહિલા આર્ટ્સ કોલેજ, મહેતાપુરા, હિંમતનગર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરાયું

એસ.બી. મહિલા આર્ટ્સ કોલેજ, મહેતાપુરા, હિંમતનગર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરાયું
આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે, એસ.બી. મહિલા આર્ટ્સ કોલેજ મહેતાપુરા, હિંમતનગર દ્વારા ‘હર ઘર તિરંગા’અભિયાન અંતર્ગત એક ઉત્સાહવર્ધક તિરંગા રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભવના વધુ સુદ્રઢ કરવાનો હતો. કોલેજ કેમ્પસ ખાતેથી સંસ્થાના આચાર્યશ્રી, અધ્યાપકગણ તેમજ સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હાથમાં આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ અને ‘હર ઘર તિરંગા’નું બેનર ધારણ કરીને નીકળેલી કોલેજની વિદ્યાર્થીનીઓના દેશભક્તિસભર ઉત્સાહથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ તિરંગા રેલી કોલેજ પરિસરથી પ્રારંભ થઈ મહેતાપુરા અને હિંમતનગર શહેરના માર્ગો પર ફરી હતી.
રેલી દરમિયાન વિદ્યાર્થીનીઓએ “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “હર ઘર તિરંગા” જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વિસ્તારને ગુંજવી મૂક્યો હતો. સ્થાનિક નાગરિકોએ પણ જગ્યાએ જગ્યાએ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા સંકલ્પબદ્ધ બન્યા હતા. દેશના દરેક નાગરિક પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્ર પ્રત્યે પોતાની શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરે તે જ આ અભિયાનનો મુખ્ય સંદેશ છે.
જયંતિ પરમાર સાબરકાંઠા




