WAKANER:વાંકાનેરના ઠીકરીયાળામાં N.A. જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનાર રાજકોટના શખ્સ સામે ગુનો નોંધાયો

WAKANER:વાંકાનેરના ઠીકરીયાળામાં N.A. જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનાર રાજકોટના શખ્સ સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની બિન-ખેતી (N.A.) જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી, પાકી બિલ્ડિંગ અને દુકાનો બાંધીને ભાડું વસૂલતા રાજકોટના એક શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦’ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, મુંબઈ ખાતે રહેતા રશ્મિબેન વિશનજી ઠક્કર (ઉં.વ. ૬૬) એ આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ (રહે. રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઠીકરીયાળા ગામના સર્વે નંબર ૨૩ માં આઈ.ઓ.સી.એલ. (IOCL) પંપની બાજુમાં આવેલી ૭૬૨.૩૬ ચો.મી. ખુલ્લી બિન-ખેતી જમીન રશ્મિબેન અને સોનલબેન વીશનજી ઠક્કરની સંયુક્ત માલિકીની છે.આરોપી વિરમ ભરવાડે આ જમીન પૈકી ૧૯૬.૩૬ ચો.મી. ક્ષેત્રફળ પર ગેરકાયદેસર કબ્જો કરી ત્યાં પાકી બિલ્ડિંગ તેમજ દુકાનો બનાવી દીધી હતી. એટલું જ નહીં, આ દુકાનો ભાડે આપીને આર્થિક લાભ મેળવી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરાયો છે.આ બાબતે મહિલાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩, ૪(૧)(૩), અને ૫(ગ) મુજબ ગુન્હો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.








