JUNAGADHJUNAGADH CITY / TALUKO

“હર ઘર તિરંગા” તિરંગાની શાનમાં જૂનાગઢ એકસાથે, નરસિંહ મહેતા સરોવરથી નીકળી ભવ્ય યાત્રા

નરસિંહ મહેતા સરોવરથી સરદાર ચોક સુધી તિરંગાનો જલવો, દેશભક્તિના રંગે રંગાયું જૂનાગઢ

નરસિંહ મહેતા સરોવરથી સરદાર ચોક સુધી તિરંગાનો જલવો, દેશભક્તિના રંગે રંગાયું જૂનાગઢ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત જૂનાગઢ શહેરમાં ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા સરોવરથી શરૂ થયેલી આ યાત્રા આઝાદ ચોક, રાણાવાવ ચોક, ડો. આંબેડકર ચોક અને કાળવા ચોક થઈ સરદાર ચોક-જીમખાના ખાતે પૂર્ણ થઈ હતી.
ભારતની આઝાદી માટે શૌર્ય અને બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિને વંદન તથા રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં શહેરના અબાલવૃદ્ધ નાગરિકો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત દેશભક્તિના ગીતોથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળાઓ દ્વારા ‘દેશ રંગીલા’ ગીત પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં હોમગાર્ડઝ, એનએસએસ, એનસીસી, વન વિભાગ, પોલીસ વિભાગ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સભ્ય બહેનો સહિત વિવિધ ક્ષેત્રના લોકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી સમગ્ર શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
કાર્યક્રમના અંતે સરદાર ચોક-જીમખાના ખાતે ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો.
તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાનાણી, મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝાડફિયા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ઇંદ્રજીતસિંહ વાળા, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, અધિક નિવાસી કલેક્ટર બી.એસ. બારડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી સહિતના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!