
ઝઘડિયાના આમલઝર પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ વસાવા રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે સન્માનિત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા આમલઝરના ઉત્સાહી અને સમર્પિત શિક્ષક **શ્રી રાજેશભાઈ ચંદુભાઈ વસાવા**ને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે “પ્રતિભાશાળી શિક્ષક સન્માન” એનાયત કરવામાં આવ્યું છે. ઝઘડિયા ખાતે યોજાયેલા ભવ્ય જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસ સમારોહમાં માનનીય રાજ્યના આરોગ્ય મંત્રી **શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા**ના વરદ્ હસ્તે શ્રી રાજેશભાઈ વસાવાને આ સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યું હતું.
શ્રી રાજેશભાઈ વસાવાએ શિક્ષણ ક્ષેત્રે બજાવેલી ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ, વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન અને શાળાના સર્વાંગી વિકાસમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને આ ગૌરવવંતુ સન્માન આપવામાં આવ્યું છે. તેમની આ સિદ્ધિ બદલ આમલઝર ગામના સરપંચશ્રી, શાળા પરિવાર, એસ.એમ.સી.ના સભ્યો તેમજ ઝઘડિયા તાલુકાના શૈક્ષણિક આલમ અને ગ્રામજનોએ ભારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને શ્રી રાજેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
ઈરફાન ખત્રી
રાજપારડી



