સુરેન્દ્રનગરમાં 80મા સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: ગાંધી હોસ્પિટલમાં દાખલ 27 મહિલાઓને સાડીનું વિતરણ કરાયું

તા.17/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં માનવસેવાના ઉત્તમ કાર્ય સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્વ. વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી મેમોરેબલ ટ્રસ્ટ (વઢવાણ) દ્વારા આઝાદીના આ પવિત્ર દિવસે એક સરાહનીય સેવાયજ્ઞ યોજાયો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલી 27 જેટલી જરૂરિયાતમંદ મહિલા દર્દીઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના વોર્ડમાં જઈને દર્દીઓની ખબર- અંતર પૂછી તેઓને સાડી અર્પણ કરી સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉત્તમ અને પ્રેરણાદાયી સેવાકાર્યમાં સ્વ.વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી મેમોરેબલ ટ્રસ્ટના પ્રમુખ નવલબા ગઢવી તેમજ ‘જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી’ની બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી. તમામ સભ્યોના સહયોગથી કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સફળતા પૂર્વક સંપન્ન થયો હતો. હોસ્પિટલમાં દાખલ મહિલાઓએ આ ભગીરથ કાર્ય બદલ ટ્રસ્ટ અને જાયન્ટ્સ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.





