
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – મંત્રી પ્રદ્યુમન વાજાના જન્મદિવસે સોશિયલ મીડિયામાં વિરોધના પોસ્ટર વાયરલ,વાયરલ પોસ્ટરમાં “વાલ્મિકી સમાજનો એક પણ પ્રશ્ન ઉકેલાયો નથી” તેવો આક્ષેપ
અરવલ્લી : ગુજરાત સરકારના મંત્રી પ્રદ્યુમન વાજાના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક પોસ્ટરને લઈને અરવલ્લી જિલ્લામાં ચર્ચા શરૂ થઈ છે. માલપુરના વાલ્મિકી આશ્રમ ગ્રુપમાં મંત્રીના ફોટા સાથે વિરોધ દર્શાવતું પોસ્ટર વાયરલ થયું હોવાનું સામે આવ્યું છે.
વાયરલ પોસ્ટરમાં “વાલ્મિકી સમાજનો એક પણ પ્રશ્ન ઉકેલાયો નથી” તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો અંગે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.મંત્રીના જન્મદિવસના દિવસે જ તેમના ફોટા સાથેનું આ પ્રકારનું વિરોધાત્મક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વાલ્મિકી સમાજના પડતર પ્રશ્નો અને સફાઈ કામદારોની સમસ્યાઓ અંગે રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ ન મળ્યો હોવાનો દાવો પોસ્ટર મારફતે કરવામાં આવ્યો છે.જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ આક્ષેપો અંગે મંત્રી પ્રદ્યુમન વાજા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી.





