
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના ભગવતીપુરા કંપામાં બોરકૂવાના કેબલની ચોરી, ફરી એકવાર કેબલ ચોરીનો બનાવ સામે આવ્યો
મેઘરજ તાલુકાના ભગવતીપુરા કંપા વિસ્તારમાં ખેતરમાં આવેલા બોરકૂવાના કેબલની ચોરી થતાં ચકચાર મચી છે. અજાણ્યા તસ્કરો રાત્રિના અંધારાનો લાભ લઈ ખેતરમાં લગાવેલો બોરકૂવાનો આશરે 230 ફૂટ લાંબો કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ખેતરમાં બોરકૂવા માટે કેબલ લગાવવામાં આવ્યો હતો. રાત્રિના સમયે તસ્કરોએ ખેતરમાં પ્રવેશ કરી બોરકૂવામાં લગાવેલો કેબલ કાઢી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. સવારે ખેડૂત ખેતરે પહોંચ્યા ત્યારે બોરકૂવાનો કેબલ ગાયબ હોવાનું ધ્યાને આવતા ચોરીની ઘટના સામે આવી હતી.ઘટનાની જાણ થતાં ખેડૂતે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા તસ્કરો અંગે માહિતી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.ખેતરોમાંથી વારંવાર ખેતીના સાધનો અને કેબલની ચોરી થતી હોવાના કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.





