
ભાલોદ ગામે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે શ્રાવણ સુદ પૂર્ણિમાના પાવન દિવસે બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા સામૂહિક જનોઈ ધારણ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય કિરણ શુકલ
દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણોએ જૂની જનોઈ ઉતારી નવી જનોઈ ધારણ કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ભાલોદ ગામના 15થી વધુ ભૂદેવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સવારથી જ બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રાહ્મણો એકત્ર થયા હતા અને દેવ-પિતૃઓનું સ્મરણ કરી ધાર્મિક પરંપરા મુજબ યજ્ઞોપવિત ધારણ કર્યું હતું. સમગ્ર વાતાવરણ વૈદિક મંત્રોચ્ચારથી ભક્તિમય બની ગયું હતું.


