WAKANER:વાંકાનેરના કણકોટમાં પ્રેમલગ્નની અદાવતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર ધારીયા-પાઇપ વડે જાનલેવા હુમલો




WAKANER:વાંકાનેરના કણકોટમાં પ્રેમલગ્નની અદાવતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર ધારીયા-પાઇપ વડે જાનલેવા હુમલો

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે જૂની પ્રેમલગ્નની અદાવત રાખીને ૫ જેટલા શખ્સોએ લોખંડના પાઇપ અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે એક જ પરિવારના પિતા અને તેમના બે પુત્રો પર જાનલેવા હુમલો કર્યો હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો અનુસાર, કણકોટ ગામે રહેતા ૨૩ વર્ષીય નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ગામના જ જીવરાજભાઈ નાથાભાઈ સારદીયા, રમેશભાઈ નાથાભાઈ સારદિયા, અલ્પેશભાઈ ઉર્ફે કિશનભાઇ સારદીયા, જયરાજભાઈ જીવરાજભાઈ સારદિયા અને હાર્દિકભાઈ જીવરાજભાઈ સારદિયા સામે આક્ષેપ કર્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી નિલેશભાઈની બહેન અસ્મીતાને આરોપી જીવરાજભાઈનો ભાણેજ ગોવીંદભાઇ ભગાડીને લઈ ગયો હતો, જેને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આ બાબતે જ્યારે ફરિયાદીના પિતાએ જીવરાજભાઈને વાત કરી ત્યારે ઉશ્કેરાઈ જઈને આરોપીએ “અસ્મીતાને ભગાડવામાં મારો જ હાથ છે, તારાથી થાય તે કરી લે” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.
ત્યારબાદ પાંચેય આરોપીઓએ એકસંપ થઈ લોખંડનું ધારીયું અને પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. જેમાં જીવરાજભાઈએ ધારીયા વડે અને અન્ય આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર મારી ફરિયાદી નિલેશભાઈ, તેમના પિતા અરવિંદભાઈ (જેમને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી છે) તેમજ તેમના ભાઈ પંકજભાઈને (જેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે) ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની નિવેદનના આધારે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


