
01 સપ્ટેમ્બર 2026
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગરના અલીયાબાડા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉપક્રમે દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય, અલીયાબાડા ખાતે સંસ્કૃત સપ્તાહની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તથા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે ગૌરવની ભાવના કેળવાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત શ્લોકપઠન, સુભાષિત, સંસ્કૃત ગીતો, વાર્તા, પહેલિકા, સંસ્કૃત સમાચાર વાચન તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે સંસ્કૃત ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત પુસ્તકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. રૂપલબેન માકડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સંયોજક ડૉ. નિધીબેન અગ્રાવત દ્વારા કરવામાં આવ્યું હતું. અધ્યાપકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી સંસ્કૃત સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.





