સમયસર મકાનનું બાંધકામ પૂરું ન કરી આપનાર કોન્ટ્રાક્ટરને એક લાખનો દંડ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો ઐતિહાસિક ચુકાદો
29 જાન્યુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે રહેતા રૂપલબેન જગદીશભાઈ પઢીયાર અને તેમના પિતા સોમાલાલ કેશવલાલને ગામમાં મકાન બનાવવાનું હોઈ પાલનપુર ખાતે મકાન બનાવી આપનાર કોન્ટ્રાક્ટર સુનીલ આર. ગોહિલ, સાગર આર.ગોહિલ અને રામકિરણજી ગોહિલનો સંપર્ક કરી તેમની સાથે ભાવ નક્કી કરી 630 ફૂટના મકાન બાંધકામ માટે 850 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવ નક્કી કરી મકાન બનાવી આપવા માટે કરાર લેખ કરેલો એ કરાર લેખ મુજબ કરારમાં ત્રણ માસમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું હતું , પરંતુ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ગ્રાહક પાસેથી સાડા ચાર લાખ રૂપિયા જેટલી મોટી રકમ લીધા બાદ પણ કામ પૂરું કરી આપેલ નહીં અને વારંવાર વિનંતી કરવા છતાં તેઓ બાકીનું કામ પૂરું કરી આપતા ન હતા અને તેથી તેમણે ગ્રાહક સુરક્ષા સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાના પ્રમુખ અને ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેનો રૂબરૂ સંપર્ક કરી લેખિત ફરિયાદ આપેલ હતી. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ શ્રી દવેએ નોટીસ વિગેરેની કાર્યવાહી કર્યા બાદ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરેલ હતી. જેથી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ. બી. પંચાલ અને સભ્ય એમ.એસ. સૈયદ તેમજ બી.જે. આચાર્યની જ્યુરીએ કોર્ટ કમિશ્નરની નિમણૂક કરી અને સ્થળ સ્થિતિ અંગે રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો.ત્યારબાદ કોર્ટ કમિશનરના અહેવાલ મુજબ બિલ્ડર કોન્ટ્રાક્ટરે કરારમાં નિર્ધારિત થયેલ શરતો મુજબ મકાનનું બાંધકામ પૂર્ણ કરેલ ન હતું તેવું સ્પષ્ટ થતાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી.પંચાલ અને સભ્ય એમ.એસ સૈયદની જ્યુરીએ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માની ધારદાર રજૂઆતોને ધ્યાને લઈ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ત્રણ માસમાં બાકી રહેલ મકાનનું કામકાજ પૂર્ણ કરવાનું રહેશે તેમજ બિલ્ડરે મકાનનું બાંધકામ પૂર્ણ ન કરી સેવામાં ખામી અને અનૈતિક વેપાર પદ્ધતિનું આચરણ કરેલ હોઈ ગ્રાહકને થયેલ માનસિક ત્રાસ પેટે રૂ.એક લાખ અને ફરિયાદ ખર્ચના રૂ.દસ હજાર દિન તીસમાં ચૂકવી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપેલ.