ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ફરીવાર સૌરાષ્ટ્રમાં ધરતીકંપ આવ્યો છે. સવારે 11 વાગ્યાની આસપાસ અમરેલીમાં 2.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તે ઉપરાંત મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ ભૂકંપ આંચકો અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થવાની શક્યતા નથી. અમરેલીથી 44 કિ.મી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે.
10મી ફ્રેબ્રુઆરીએ મોડી રાત્રે સુરતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. સુરતમાં આવેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા માપવામાં આવી હતી. જ્યારે કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું.