રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા કમિશનની સુચના મુજબ જિલ્લાના તમામ મેડીકલ/ ફાર્મસી સ્ટોર પર સી.સી.ટી.વી કેમેરા લગાવવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા હુકમ કરાયો
28 માર્ચ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા કમિશન ભારત સરકારશ્રીની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લાના તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોર જ્યાં ડ્રગ્સ એન્ડ કેમીસ્ટ નિયમોની જોગવાઇઓ મુજબ શિડયુઅલ H, H1 & X ડ્રગ્સનું વેચાણ કરવામાં આવે છે. તે તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર સી.સી.ટી.વી કેમેરા લગાવવા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૩૩ હેઠળ હુકમ કરવા સુચન થયેલ છે. તેના માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, બનાસકાંઠા દ્વારા હુકમ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ કરેલ છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા મિશન ભારત સરકારશ્રીના સુચન સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોર માલિકોએ ૧ (એક) માસના સમયમાં મેડીકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર નીચે જણાવ્યા મુજબ સી.સી.ટી.વી કેમેરા લગાવવા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૩૩ અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. (૧) બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ મેડીકલ/ફાર્મસી સ્થળોના પ્રવેશદ્વાર ઉપર પુરતા પ્રમાણમાં જયાં પ્રવેશ હોય તે તમામ જગ્યાઓ આવરી લે તથા અંદરના ભાગે જગ્યા આવરી લે તેટલા પ્રમાણમાં સી.સી.ટી.વી. (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન સાથેના) કેમેરા વીથ રેકોર્ડીંગની વ્યવસ્થા કરવાની રહેશે. (૨) સી.સી.ટી.વી. કેમેરામાં જે-તે સ્થળના સમગ્ર વિસ્તારનું સંપૂર્ણ કવરેજ થાય તે મુજબ કેમેરા લગાવવાના રહેશે. (૩) જે જગ્યાએથી પ્રવેશ કરવાનો હોય તે તમામ જગ્યાએ પ્રવેશ કરતા તમામ વ્યક્તિઓ તથા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. (૪) આ તમામ સ્થળો ખાતે આવતા વાહનના ડ્રાઈવર તથા બાજુની સીટમાં બેઠેલ વ્યકિતનો ચહેરો સ્પષ્ટ રીતે સી.સી.ટી.વી. કેમેરાની ફૂટેજમાં જોઈ શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. (૫) સી.સી.ટી.વી.માં ઓછામાં ઓછા ૬ (માસ) સુધી રેકોર્ડનો સંગ્રહ કરવાનો રહેશે. ( ૬) લગાડવામાં આવેલ તમામ સી.સી.ટી.વી. કેમેરા સતત ચાલુ રહે તે જોવાની જવાબદારી જે તે મેડીકલ/ફાર્મસી સ્ટોર માલિકની રહેશે. આ સી.સી.ટી.વી કેમેરાનું રેકોડીંગ કોઇપણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓર્થોરીટી દ્વારા આકસ્મિક ચેક કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના કોઇપણ મેડીકલ/ફાર્મસી સ્ટોર માલિક દ્વારા આ હુકમનું ઉલ્લંઘન કરતાં હોવાનું માલુમ પડશે તો કાયદાની જોગવાઇ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ડેઝીગ્નેટેડ ઓફીસર અને મદદનીશ કમિશ્નરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા, પાલનપુરને અધિકૃત કરવામાં આવે છે.