WAKANER:વાંકાનેરના જામસર ગામે કરૂણ ઘટના: વાડીએ વીજ કરંટ લાગતા પિતાનું મોત, પુત્રને સારવારમાં ખસેડાયો




WAKANER:વાંકાનેરના જામસર ગામે કરૂણ ઘટના: વાડીએ વીજ કરંટ લાગતા પિતાનું મોત, પુત્રને સારવારમાં ખસેડાયો

વાંકાનેર તાલુકાના જામસર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પોતાની વાડીએ નીરણ (ઘાસચારો) ઓલવવા જતી વખતે વીજ લાઇનનો જીવંત તાર અડી જતાં 57 વર્ષીય પ્રૌઢનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પિતાને બચાવવા ગયેલો પુત્ર પણ વીજ કરંટની ઝપેટમાં આવી જતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ જામસર ગામના રહેવાસી વાઘજીભાઈ શીવાભાઈ દેલવાડીયા (ઉં.વ. 57) અને તેમનો પુત્ર જયદેવભાઈ (ઉં.વ. 24) પોતાની વાડીએ હાજર હતા. તે સમયે વાડીમાં નીરણ સળગતી હોવાનું જણાતા પિતા-પુત્ર તેને ઓલવવા માટે દોડ્યા હતા. વાડીમાંથી પસાર થતી જી.ઈ.બી.ની ત્રણ તારની ઇલેક્ટ્રિક લાઇનમાંથી એક જીવંત તાર તૂટીને નીચે પડ્યો હતો, જેના પર અજાણતા વાઘજીભાઈનો પગ આવી ગયો હતો.ભયાનક વીજ કરંટ લાગવાને કારણે વાઘજીભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પિતાને બચાવવાના પ્રયાસમાં પુત્ર જયદેવભાઈને પણ જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો.ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવાન જયદેવભાઈને તાત્કાલિક રફાળેશ્વર પાસેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




