GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કપાસમાં સૂકારો, મૂળખાઇ, ખૂણિયાં ટપકાં, પેરાવિલ્ટ રોગના સંકલિત વ્યવસ્થાપન માટેના સૂચનો

તા.૧૯/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કપાસમાં સૂકારો, મૂળખાઇ, ખૂણિયાં ટપકાં, પેરાવિલ્ટ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી જોઈએ. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ જાળવી વપરાશ કરવો જોઈએ.

લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન/ હે અથવા એરંડીના ૫૦૦ કિગ્રા ખોળમાં ૪ કિગ્રા ટ્રાઈકોડર્મા હારજીયાનમનું મિશ્રણ અથવા ટ્રાયકોડર્મા વિરીડી ૨.૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ૧૦૦ કિલોગ્રામ છાણીયા ખાતર સાથે મિશ્ર કરી વાવણી સમયે ચાસમાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાની ભલામણ કરવામાં આવી છે.

કપાસમાં નવો સુકારો અથવા પેરાવિલ્ટના આગોતરા નિયંત્રણ માટે હલકી જમીનમાં કપાસનું વાવેતર નિકપાળાં પદ્ધતિથી પાળા ઉપર કરવું તથા જમીનમાં સેન્દ્રીય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવા. આંતર પાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવું તેમજ સુકારાના નિયંત્રણ માટે મકાઈને આંતર પાક તરીકે વાવવો. કપાસમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, રાઈડો અથવા બાજરીની ફેરબદલી કરવી જોઈએ.

વાવણી સમયે બીજને ટ્રાયકોડર્મા હારજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફુગ નિયંત્રકનો ૧૦ ગ્રામ/ કિલો પટ આપી વાવેતર કરવું અથવા બીજને કાર્બોઝીન ૩૭.૫%+ થાઈરમ ૩૭.૫% ડીએસનાં મિશ્રણનો ૩.૫ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવેતર કરવું જોઈએ

કપાસમાં ખૂણિયા ટપકા અથવા કેમ્પેટ્રીસ રોગ બીજજન્ય હોવાથી બીમાવજથીતથી અટકાવી શકાય છે આ માટે બીજની રુવાટી દૂર કરવી. એક કિલોગ્રામ બીજમાં ૧૦૦ મિલી ગંધકનો તેજાબ નાખી ૨-૩ મિનિટ સતત હલાવતા રહેવું ત્યારબાદ બીજને પાંચથી છ વખત સાદા પાણીમાં ધોઈ ત્યારબાદ પારાયુક્ત દવાઓ એગ્રોસાન, સેરેસાન,ઇમિસાન પૈકી કોઈ એક દવાનો ૨-૩ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો અથવા સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!