કેટલાંક કહે છે કે તમે હિન્દુધર્મના યોગીઓ/બાબાઓ/ ગુરુઓ/ સ્વામીઓ/ કોર્પોરેટ કથાકારો/ પ્રગટ બ્રહ્મસ્વરુપોની આલોચના કેમ કરો છો? બીજા ધર્મના ગુરુઓની આલોચના કેમ કરતા નથી?
મારી દલીલ છે કે રાજારામ મોહનરાય/ વિવેકાનંદજી/ દયાનંદજી/ ગાંધીજી વગેરે પોતાના ઘરની સાફસફાઈ કરી હતી; પાડોશીના ઘરની સાફસફાઈ કરવાનો હઠાગ્રહ રાખ્યો ન હતો. વળી આપણા ઘરનો કચરો આપણને પહેલા બીમાર કરે છે, પાડોશીને પછી. ઉપરાંત આપણા ઘરના કચરાથી આપણને નુકસાન વધારે થાય છે, પાડોશી કરતા !
ઉદાહરણ તરીકે બાબા રામદેવને જોઈએ. તેમણે 2014માં લોકોને કહેલ કે “કાળું નાણું પરત આવશે તો 50 વરસ સુધી ઈન્કમટેક્સ ચૂકવવો નહીં પડે ! પેટ્રોલ 30 રુપિયે લિટર મળશે ! ગેસ સિલિન્ડર 200 રુપિયે મળશે !”
હવે વિચારો, આ જૂઠનો ભોગ વધારે કોણ બન્યું હિન્દુઓ જ ને? વધારે નુકસાન કોને થયું? હિન્દુઓને જ ને? આવા ધર્મગુરુઓ સમાજના નૈતિક ચરિત્ર માટે પણ ખતરનાક છે, કઈ રીતે? જ્યારે પોલીસે સગીર બાળકી પર બળાત્કાર કરનાર આશારામને જેલમાં પૂર્યો ત્યારે બાબા રામદેવ અને બીજા ધર્મગુરુઓએ દેકારો કરી મૂકેલ કે આ તો ‘હિન્દુસંતો’ પર હુમલો છે ! પરંતુ આશારામના બચાવમાં ઉતરેલ એક પણ બાબા/ ધર્મગુરુઓ/ ગોડસેવાદી સંગઠનોના નેતાઓએ આજ દિન સુધી અફસોસ વ્યક્ત નથી કર્યો કે અમે ક્રિમિનલનો ખોટો બચાવ કર્યો હતો ! એ રીતે 2014થી 2024 સુઘીમાં બેરોજગારી/ મોંઘવારીમાં ભયંકર વધારો થયો છતાં સત્તાપક્ષનો પ્રચાર કરતા બાબાઓ/ધર્મગુરુઓ/સ્વામિઓ/ કથાકારોએ અફસોસ વ્યક્ત કર્યો નથી ! એટલું જ નહીં, તેઓ કહે છે કે “જે લોકો સત્તાપક્ષનો વિરોધ કરે છે તે ‘જેહાદી’ છે ! હિન્દુત્વની જીત થાય તો જ પાકિસ્તાન/ ચીન/ અમેરિકા ડરે ! ડુંગળી/બટેટા/ પેટ્રોલ-ડીઝલ સસ્તુ કરવાનું કહે તેને મત ન આપતા, પણ હિન્દુરાષ્ટ્ર માટે ફકીરજીને મત આપજો !”
માની લો કે ભારત હિન્દુરાષ્ટ્ર બને તો વધુ નુકસાન તો દલિતો/આદિવાસીઓ/ OBC-હિન્દુઓને જ થવાનું ને? એમણે ઉપલા વર્ણથી ડરીને સેવા જ કરવાની ને? વધુ બેરોજગાર તો હિન્દુઓ જ બનશે ને? મોંઘવારી સહન કરનાર મોટો વર્ગ તો હિન્દુ જ હશે ને?rs