
વિજાપુર કણભા પ્રાથમિક શાળાખાતે “તમાકુ એક અભિશાપ” નિબંધ સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કણભા મુકામે તાલુકા હેલ્થ કચેરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈના સંયુક્ત ઉપક્રમે “તમાકુ એક અભિશાપ” અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કણભા પ્રાથમિક શાળામાં યોજાયેલી આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8ના કુલ 23 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના નિબંધોમાં તમાકુ તથા તેની બનાવટોનું માનવ શરીર પર થતું દૂષ્પ્રભાવ, સમાજ પર પડતા નુકસાન, સામાજિક-આર્થિક, માનસિક અને શારીરિક હાનિ જેવા વિસ્તૃત મુદ્દાઓ આવરી લીધા હતા. સાથે સાથે તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અંગેની જાણકારી, તમાકુના વ્યસનથી મુક્ત થવાથી થતા આરોગ્યલાભ અને આર્થિક બચત જેવા મુદ્દાઓનો પણ સુંદર સમાવેશ કર્યો હતો. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણે તમાકુથી થતા ઘાતક રોગો વિશે માહિતગાર કર્યા હતા અને તમાકુ છોડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આયુષ મેડિકલ ઓફિસર ડો. તૃપ્તિ પટેલે વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ માટે સંકલ્પ લેવડાવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અલ્પેશ પટેલ અને મેહુલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મંડળે સક્રિય સહકાર આપતા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




