દાયકાઓથી જેને ચમત્કારિક અને પવિત્ર માનવામાં આવે છે તેવા ગૌમૂત્રને હવે તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને કારણે માનવીય ઉપભોગ માટે અયોગ્ય ગણાયું છે.
દેશની અગ્રણી રિસર્ચ સંસ્થા બરેલી સ્થિત આઈસીએઆર-ઈન્ડિયન વેટેરિનરી રિસર્ચ ઈન્સ્ટિટયુટ (આઈવીઆરઆઈ) દ્વારા કરાયેલા સંશોધનમાં જણાયું છે કે ભેંસનું મૂત્ર અમૂક પ્રકારના બેક્ટેરિયા પર વધુ અસરકારક રહ્યું હતું.
ઈન્સ્ટિટયુટના પ્રોફેસર અને ત્રણ પીએચડી વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે સ્વસ્થ ગાય અને બળદના મૂત્રના નમૂનામાં એસકેરિશિયા કોલી સહિત ૧૪ પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હતા જેનાથી સામાન્યપણે પેટની બીમારી થતી હોય છે.
આ અગ્રણી ઈન્સ્ટિટયુટનું સંશોધન ઓનલાઈન રિસર્ચ વેબસાટઈ રિસર્ચગેટમાં પ્રસિદ્ધ થયું છે.
સંશોધકોએ જણાવ્યું કે ગાય, ભેંસ અને માનવીઓના મૂત્રના ૭૩ નમૂનાનું પૃથ્થકરણ કરતા જણાયું હતું કે ભેંસના મૂત્રમાં બેક્ટેરિયા વિરોધી ગુણો સૌથી વધુ હતા. આ મૂત્ર ખાસ કરીને એસ એપિડરમાઈડિસ અને ઈ રેપોન્ટીસી જેવા બેક્ટેરિયા પર વધુ અસરકારક હતું.
તેમણે સ્પષ્ટતા કરી કે અમે સ્થાનિક ડેરીમાંથી સાહિવાલ, થારપરકર અને વિંદવાની એવી ત્રણ પ્રકારની ગાય તેમજ ભેેંસ અને માનવીના મૂત્ર એકત્ર કર્યા હતા. અમારો અભ્યાસ ગયા વર્ષે જૂનથી નવેમ્બર દરમ્યાન કરવામાં આવ્યો હતો અને અમને જણાયું હતું કે સ્વસ્થ વ્યક્તિઓના મૂત્રમાં પણ પેથોજીનીક બેક્ટેરિયા હોય છે.
ઉલ્લેખનીય છે કે ગૌમૂત્ર ભારતીય બજારોમાં વ્યાપકપણે વેંચવામાં આવે છે અને જેના પર સપ્લાયરો દ્વારા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસ-એસએઆઈ)ના ટ્રેડમાર્ક પણ લગાવાયા હોય છે.