વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવાનાં ફુવારા સર્કલ પાસે પિતાની જમીનને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને મારા મારી થઈ હતી. તેમજ બંને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં આંબાપાડા ગામ ખાતે રહેતા વિલાસ પ્રતાપ ગાયકવાડ ફુવારા સર્કલ પાસે આવેલ એક લારી પર નાસ્તો કરીને ત્યાં હાજર હતા તે વેળાએ તેમના ગામના જ દિનકર વિશ્રામ સૈદાણે અને જય દિનકર સૈદાણે ત્યાં આવી પહોંચ્યા હતા.અને વિલાસ ગાયકવાડને કહેવા લાગ્યા હતા કે,”તારા પિતાએ આપેલ જમીનમાં અમે ઘર બાંધી રહીએ છિએ તો તુ અમને જમીનમાંથી નિકળી જવાનું કેમ કહે છે ” તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જતા બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. અને અપશબ્દ બોલવા લાગ્યા હતા. તેમજ એકબીજાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.ત્યારે આ સમગ્ર મામલો આહવા પોલીસ મથકે પહોંચ્યો હતો.બાદમાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે…