આણંદ જિલ્લામાં તેમજ ઉપરવાસના ભારે વરસાદના કારણે પંચાયત વિભાગ હસ્તકના તારાપુર અને ખંભાત તાલુકાના ૯ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ

આણંદ જિલ્લામાં તેમજ ઉપરવાસના ભારે વરસાદના કારણે પંચાયત વિભાગ હસ્તકના તારાપુર અને ખંભાત તાલુકાના ૯ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ
તાહિર મેમણ – આણંદ – 25+06/2026 – રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી આવતા પાણીના વધેલા પ્રવાહને પગલે આણંદ જિલ્લાના કેટલાક માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઇજનેરશ્રીના જણાવ્યા અનુસાર તા. 25, જુલાઈના બપોરે 1:00 વાગ્યાની સ્થિતિએ આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કુલ 9 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમાં તારાપુર તાલુકાના 7 તથા ખંભાત તાલુકાના 2 માર્ગોનો સમાવેશ થાય છે.
બંધ કરાયેલા માર્ગોમાં મોટાભાગના રસ્તાઓ ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના વધેલા પ્રવાહ અને ઓવરટોપિંગની સ્થિતિને કારણે અસરગ્રસ્ત બન્યા છે. જેના પગલે તારાપુર-રાજવાપુરા રોડ, મિલરામપુરા વિસ્તારના વિવિધ માર્ગો, જીચકા-ખાનપુર રોડ તેમજ મોરજ-ચીખલીયા રોડ સહિતના માર્ગો પર સલામતીના હેતુસર વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ટીમ મોકલીને અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં શક્ય હોય ત્યાં વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીને માર્ગોની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ માર્ગો પૈકી કેટલાક સ્થળોએ પાણીનો પ્રવાહ ઘટ્યા બાદ માર્ગો ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે આ માર્ગો માટે 28, જુલાઈ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ-મકાન વિભાગે નાગરિકોને બંધ જાહેર કરાયેલા માર્ગો પર મુસાફરી ના કરવા અને માત્ર અધિકૃત વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા તેમજ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.





