
ફૈઝ ખત્રી…શિનોર
ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં એસ.ટી. બસ સેવાને લઈને મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈ ડેપોથી કરજણ જતી સવારે ૬:૩૦ વાગ્યાની શિડયુલ નંબર 13 ની બસ કાયાવરોહણ બસ સ્ટેશન પર આવતી નથી તેવી ફરિયાદ સ્થાનિક મુસાફરો દ્વારા કરવામાં આવી છે.
મુસાફરોના જણાવ્યા મુજબ તેઓ દરરોજ સવારે કાયાવરોહણ બસ સ્ટેશન પર બસની રાહ જોઈને ઉભા રહે છે, પરંતુ આ બસ કાયાવરોહણ ચોકડી બાયપાસથી જતી રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને અન્ય મુસાફરોને ભારે તકલીફ ભોગવવી પડે છે.
જેથી કરીને મુસાફરોને મજબૂરીમાં પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ કરીને કરજણ બસ સ્ટેશન સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે. નોંધનીય છે કે ડભોઈ થી કરજણ જતી અન્ય બસો કાયાવરોહણ બસ સ્ટેશન પર આવે છે, પરંતુ સવારે ૬:૩૦ વાગ્યાની બસના ડ્રાઈવર દ્વારા બસ સ્ટેશન પર ન લાવવામાં આવતી હોવાની ફરિયાદ છે. મુસાફરો દ્વારા ડ્રાઇવરને અનેક વાર કહેવામાં આવ્યું હોવા છતાં પણ બસનો ડ્રાઇવર પોતાના મનસ્વી વલણ અપનાવી બસને કાયાવરોહણ બસસ્ટેન્ડ સુધી લાવતા નથી આમ મુસાફરો પાસેથી દ્વારા જાણવા મળ્યું છે.
આ અંગે કાયાવરોહણ ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા ડભોઈ ડેપો મેનેજરને લેખિત માં જાણ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જેના કારણે કાયાવરોહણ ગામના મુસાફરોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
સ્થાનિક મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરી ડભોઈથી કરજણ જતી સવારે ૬:૩૦ વાગ્યાની શિડયુલ નંબર 13 ની
બસને કાયાવરોહણ બસ સ્ટેશન પર નિયમિત લાવવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે ડ્રાઈવર બદલવામાં આવે જેથી મુસાફરોને પડતી મુશ્કેલીઓ દૂર થાય.




