જનસમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્રારા લોકપ્રશ્નો અર્થે સરપંચશ્રીઓ સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે.જે અન્વયે મેંદરડા બાદ આજ રોજ ભેંસાણ ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભેંસાણ તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.ભેંસાણ મામલતદાર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભેંસાણ તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નોના ઉકેલ માટે સરપંચ સંવાદ કાર્યક્રમના માધ્યમથી તેમની સમસ્યાઓનો તાગ મેળવવામાં આવ્યો હતો.આ સાથે તેના ઉચિત ઉકેલ માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે,આ પ્રકારના કાર્યક્રમની શરૂઆત કરવાથી જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ સાથે જોડાઈ શકશે.ઘણી વાર ગ્રામ્ય કક્ષાના તમામ પ્રશ્નોનો જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સમાવેશ કરી શકાતો નથી.ઘણી વખત સમયનો અભાવ હોય છે.ત્યારે આ પ્રકારના આયોજન થકી જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જોડાઈ શકે છે.તેમના પ્રશ્નોનો સ્થળ ઉપર જ તાત્કાલિક નિરાકરણ આપી શકાય છે.કાર્યક્રમમાં જમીન માપણી,પાળા બનાવવા,કોઝ વે નિર્માણ,દબાણ હટાવવા,રોડ રીપેરીંગ,રોડ રિસરફેસિંગ, એસટી બસ સ્ટોપ બનાવવા,પુલ નિર્માણ,ગૌચર જમીન,ગ્રામ પંચાયતના નવા ભવન નિર્માણ,નવા રોડ બનાવવા સહિતના ૧૨૩ જેટલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા લેવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ જિલ્લાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે.લોક કલ્યાણ અને લોક વિકાસના કામો માટે તેઓ સતત નવીન અભિગમ અપનાવતા રહે છે.આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ પ્રકારે તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવનાર છે.આ તકે જિલ્લા કલેકટરશ્રીનુ સરપંચ યુનિયન ભેંસાણ તાલુકા દ્રારા પુષ્પગુચ્છ, મોમેન્ટો અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.ઉકત સમીક્ષા બેઠકમાં વિસાવદર પ્રાંત અધિકારી શ્રી સી.પી.હીરવાણીયા,મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા પંચાયતના સભ્યોશ્રી, અરજદારશ્રીઓ,કર્મચારીઓ હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા તાલુકાના સરપંચશ્રીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ સૌપ્રથમવાર મેંદરડામાં યોજાયો હતો.જેની રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નોંધ લીધી હતી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની આ નવીન પહેલને બિરદાવી હતી
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ