
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા સંઘ ખાતે મફત બિયારણ વિતરણમાં ભારે અરાજકતા : ખેડૂતો ચાર દિવસથી ધક્કા ખાઈ પણ બિયારણ મળતું નથી -ખેડૂત
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મફત બિયારણ વિતરણની જાહેરાત બાદ સમગ્ર રાજ્યમાં ખેડૂતોમાં ખુશીનું માહોલ જોવા મળ્યો છે. પરંતુ મોડાસા પંથકના ઘણા ખેડૂતો માટે આ જાહેરાત માત્ર કાગળ પર રહી ગઈ છે. મોડાસા કૃષિ સંઘ ખાતે છેલ્લા ચાર દિવસથી જરૂરીયાતમંદ ખેડૂતો લાઈનમાં ઉભા રહી, ધરમના ધક્કા ખાઈ રહ્યા છે – છતાં પણ બિયારણ મળતું નથી.
ખેડૂતોના ગંભીર આક્ષેપો પ્રમાણે સંઘના સંચાલકો બિયારણ પોતાના ઓળખીતાઓને અને આપ્યા લાગતા લોકોને છૂટથી આપી રહ્યા છે, જ્યારે સાચા હકદાર અને લાયક ખેડૂતોને ખાલીહાથે પરત મોકલવામાં આવે છે.બપોરે 12 વાગે કેટલાક ખેડૂતોએ વીડિયો દ્વારા આ અંગે ખુલાસો કરતાં કહ્યું હતું:”શું આ બિયારણ માત્ર મળતીયાઓ માટે જ છે..?””સગા વાદથી બિયારણ વહેંચાઈ રહ્યું છે…?”
તેમણે સરકાર અને તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.સ્થાનિક ખેડૂતોએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે સરકાર બિયારણ અંગે મોટી જાહેરાત કરે છે ત્યારે તેની જાણ ગ્રામ પંચાયત અને ગ્રામ સેવક દ્વારા ખેડૂતો સુધી કેમ નથી પહોંચતી..? આ વખતે કોઈને પણ માહિતી મળી ન હતી, જેને લીધે અનેક ખેડૂત અનભિજ્ઞ રહ્યા અને કેટલાએ સમયસર નોંધણી પણ કરી નહોતી.






