16-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
અંજાર કચ્છ :- ૧૫ મી ઓગસ્ટના રોજ ૭૭ મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી લોહારીયા પ્રાથમિક શાળામાં શાનદાર ઉજવણી કરવામાં આવી. શાળામાં 2008 થી કાર્ય કરતાં અને જેમનુ વિદાયમાન હતું તેવા ઉત્સાહી અને ઓલરાઉન્ડર શિક્ષક કેતનભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આમ લોહારીયા ગામ દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી. કેતનભાઈ પટેલ કે જેઓ 2008 થી લોહારીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. ખૂબ મહેનતું શિક્ષક હોઈ શાળામાં કાયાપલટ કરી હતી. શાળાને હરિયાળી બનાવી શાળામાં હ્રદયથી કાર્ય કરતાં. જોકે નિવૃત્તિની ઈચ્છા લોહારીયામાં જ હોઈ અહીં મકાન પણ બનાવેલ. જોકે અમદાવાદ જિલ્લામાં પોતાના ઘરથી 10 કિલોમીટરના જ અંતરે જ ગામ મળતું હોઈ જિલ્લાફેર બદલી કરાવી હતી. કેતનભાઈ આમ સદાય હસમુખા અને શિસ્ત – સફાઈ-સમયના ખૂબ આગ્રહી હતા. તેમણે શાળામાં સવિશેષ કામગીરી કરેલ. લાગ્યા ત્યારથી લોહારીયામાં જ હોઈ અને તેમની સુંદર કામગીરી જોતાં વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદાય કાર્યક્રમ અને સ્વતંત્રતા પર્વ હોઈ સમગ્ર લોહારીયા ગ્રામવાસીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન શાળામાં પંચાયત વતી સાહેબશ્રીનું શાલ ઓઢાડી સંમાન કરવામાં આવ્યું. શિક્ષક પરીવાર દ્વારા શ્રીફળ, શાલ અને મોમેન્ટ આપવામાં આવી હતી. તેમજ ઘણા વાલીઓએ કેતનભાઈને શાલ ઓઢાડી સંમાનિત કર્યા હતા. બાળકોએ પણ પોતાના અક્ષરોથી લખીને જુદી જુદી ગિફ્ટ બનાવી આપી હતી જે કેતનભાઈ માટે કાયમનું સંભારણું બની રહેશે. આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું. કેતનભાઈને પ્રાથમિક શાળાથી માંડી છેક લોહારીયાના બસ સ્ટેશન સુધી ગામજનો વિદાય આપવા ગયા હતા. આ જોઈ કેતનભાઈનું અને તેમના પત્ની (તેઓ પણ લોહારીયા શાળામાં શિક્ષિકા છે) વર્ષાબેનનું હ્રદય પર ભરાઈ આવ્યું હતું. સૌએ આવી વિદાય પહેલી વખત જ જોઈ હોવાનું જાણવા મળ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહારીયા સરપંચ શ્રીમતિ શર્મિલાબેન, માજી સરપંચશ્રી ધીરુભાઈ પરમાર, માજી સરપંચશ્રી ધનજીભાઈ મહેશ્વરી, ઉપ સરપંચ માનબાઈ ગોપાલભાઈ, તમામ ગ્રામ પંચાયત સદસ્યો, SMC અધ્યક્ષ નયનાબેન ગુસાઈ અને SMC ની સમગ્ર ટીમ, સહદેવભાઈ ઠાકોર, નવિનભાઈ પંડ્યા, વર્ષાબેન પટેલ, સોનલબેન પરમાર, સોકતઅલી, નરેન્દ્રભાઈ, હરશીભાઈ, દેવરામભાઈ તેમજ સૌ ગ્રામજનોએ આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. કાર્યક્રમનું સંચાલન જિજ્ઞાસાબેન પટેલે કર્યું હતું. આભારવિધિ અને વિદાયગીત શાળા ના આચાર્ય રજનીકાંત સાહેબે કર્યુ હતું. સહદેવભાઈ ઠાકોર, નવીનભાઈ પંડ્યા અને રજનીકાંત સાહેબે તેમજ જિજ્ઞાસાબેન, સોનલબેન તેમજ સૌ ગ્રામજનોએ-બાળકોએ મળી કેતનભાઈને ખરેખર ભવ્ય વિદાયનું સંભારણું આપ્યું હતું.