Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
તા.૨૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં પ્રવાસન અને યાત્રાધામ હેઠળ સમાવિષ્ટ જિલ્લાનાં સ્થળોની સમીક્ષા કરાઈ હતી. જેમા હાલ પ્રગતિ હેઠળના પ્રવાસન સ્થળો, દરખાસ્ત કરવાના થતા પ્રવાસન સ્થળો, દરખાસ્ત કરેલ પ્રવાસન સ્થળો તેમજ સરકારશ્રીની અન્ય ગ્રાન્ટ હેઠળના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.
જેમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર, સણોસરાના દરબારગઢ, રામોદ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શેમળી નદી પર રિવરફ્રન્ટ, ઢાંક ખાતે મ્યુઝિયમ, નીલાખા ખાતે ભાદર ડેમની આજુબાજુના વિસ્તારનો વિકાસ , ઓસમ ડુંગર સહિત જિલ્લાના પ્રવાસન સ્થળોની સમીક્ષા કરી કલેકટર શ્રી પ્રભવ જોશીએ જરૂરી માર્ગદર્શન તેમજ સૂચન આપ્યું હતું.
બેઠકમાં કલેક્ટરશ્રીએ રાજકોટ જીલ્લામાં વધુને વધુ પ્રવાસન સ્થળો વિકસે તે માટે પ્રવાસન લાયક નવી જગ્યા દેખાય તો પ્રોજેક્ટ બનાવી મોકલવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત પ્રગતિ હેઠળના સ્થળોની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને આવા સ્થળોની યોગ્ય જાળવણી થાય તે માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.વસ્તાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.