Rajkot: લોકશાહીના અવસરમાં સહભાગી થવા ઉપલેટા, ધોરાજી, જેતપુર તથા રાજકોટ તાલુકાના મતદાતાઓને અપાયું “વિશિષ્ટ નોતરૂ”
તા.૧૫/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બી.એલ.ઓ.શ્રીઓ દ્વારા આમંત્રણ પત્રિકાઓ આપી મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકશાહીના મહાપર્વમા રાજકોટ જિલ્લાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અને ઘરે-ઘરે રૂબરૂ મુલાકાત લઈ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના મતદારોને સ્વીપ દ્વારા ચૂંટણી માટે વિશિષ્ટ નોતરૂ આપી મતદાનમાં હાર્દિક સહભાગી બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ અનુસંધાને રાજકોટ જિલ્લાના ૭૪- જેતપુર વિધાનસભા મતક્ષેત્રના જેતપુર શહેર તથા ઉપલેટા તાલુકાના ઉપલેટા શહેર, ભાયાવદર શહેર તથા રાજપરા ગામના ૫૦% થી ઓછાં તેમજ પુરુષ અને સ્ત્રી મતદારોના મતદાનની ટકાવારીમાં ૧૦%થી વધુ તફાવતવાળા ભાગમાં બી.એલ.ઓ દ્વારા શેરી મહોલ્લા ખાતે જઈને મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ ઘરે-ઘરે જઈને મતદારોને આમંત્રણ પત્રિકા અને સ્વીપનાં પેમ્પલેટ આપી મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તદુપરાંત ૭૧-રાજકોટ ગ્રામ્ય તથા ૭૫- ધોરાજી વિસ્તારના પુરુષ અને સ્ત્રી મતદારોના મતદાનની ટકાવારીમાં ૧૦%થી વધુ તફાવત ધરાવતા ભાગ નં. ૨૦૫ અનીયાળા, ભાગ નં. ૨૦૮ કાથરોટા, ભાગ નં. ૨૧૭ લીલી સાજડિયાળી, ભાગ નં ૨૨૦ સરધાર-૩, ભાયાસર, લોધીડા, પાડાસણ, રાજ સમઢીયાળા અને ભાગ નં.૨૩૦ મોટી મારડ-૧ના ગામોમાં બી.એલ.ઓશ્રી દ્વારા આમંત્રણ પત્રિકા / પેમ્પલેટનું ઘરે-ઘરે જઈને વિતરણ કરી મતદાન વિશે સમજૂતી આપી, ચૂંટણીમાં અચૂક મતદાન કરવા-કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. બીએલઓશ્રીઓએ વૃધ્ધ મતદાતાઓને પણ મતદાન અચૂક કરવા અનુરોધ કર્યો હતો, ગ્રામજનોએ મતદાન કરવાના શપથ લીધા હતા, તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.