મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ સાયન્સ સિટીની સફળતાનું ગૌરવભર્યું ઉલ્લેખ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૨૧મા એપિસોડ દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીની સફળતા અને તેની રાષ્ટ્ર નિર્માણમાં સહાયરૂપ ભૂમિકા માટે વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સાયન્સ સિટી દેશના વિજ્ઞાનપ્રેમી યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે અને વિજ્ઞાન તથા ટેકનોલોજી પ્રત્યેનો વધતો ઉમંગ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિબિંબ છે.
વડાપ્રધાને દંતેવાડા સહિતના વિસ્તારોમાં વિજ્ઞાન કેન્દ્રોની સકારાત્મક ભૂમિકા અંગે વાત કરતા અમદાવાદ સાયન્સ સિટીની નોંધપાત્ર કામગીરીનું ઉદાહરણ આપ્યું. તેમણે સાયન્સ સિટીમાં સ્થાપિત વિવિધ વૈજ્ઞાનિક ગેલેરીઝ અને બાળકોમાં તેના પ્રત્યે સર્જાયેલા ઉત્સાહનું વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વિજ્ઞાન અને ઇનોવેશન પ્રત્યેનો વધતો રસ ભારતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે.
ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના ૧૦ ઓગસ્ટ ૧૯૯૯ના રોજ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં વર્ષ ૨૦૦૧-૦૨ દરમિયાન ભારતના સૌપ્રથમ IMAX 3D થિયેટર, હોલ ઓફ સાયન્સ અને હોલ ઓફ સ્પેસ જેવી અનેક ઇન્ટરેક્ટિવ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે સાયન્સ સિટી તત્કાલ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું.
પછીના તબક્કામાં, સાયન્સ સિટીના વિકાસમાં નવી ઊંચાઈઓ જોવા મળી હતી. ૧૬ જુલાઈ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા આયોજનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતની સૌથી મોટી પબ્લિક એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને ૮ એકરના વિસ્તૃત નેચર પાર્કનો સમાવેશ થયો હતો.
સાયન્સ સિટીમાં હાલ ત્રણ મહત્વપૂર્ણ ગેલેરીઓનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે, જેમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી અને અનલિશીંગ ધ ડિજિટલ ફ્યુચર ગેલેરીનો સમાવેશ થાય છે.
શૈક્ષણિક ક્ષેત્રે પણ સાયન્સ સિટીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ૨૦૨૪ દરમિયાન સાયન્સ સિટીએ ૨ લાખથી વધુ વિદ્યાર્થી મુલાકાતીઓ અને કુલ ૧૨ લાખથી વધુ જિજ્ઞાસુઓનું સંમેલન કર્યું હતું. આ સમયગાળામાં વિવિધ STEM કાર્યક્રમો, સેમિનાર અને વર્કશોપ્સ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જ્ઞાનપ્રસાર કરવામાં આવ્યો હતો.
IIT ગાંધીનગર અને માઈક્રોન જેવી અગ્રણી સંસ્થાઓના સહયોગથી સંચાલિત ૯૦થી વધુ વર્કશોપ્સ દ્વારા ૭૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૩૭૦થી વધુ શિક્ષકોને રોબોટિક્સ, કોડિંગ, 3D પ્રિન્ટિંગ અને એસ્ટ્રોનોમી જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓએ પણ સાયન્સ સિટીના વિકાસમાં યોગદાન આપ્યું છે.
મન કી બાતમાં વડાપ્રધાન દ્વારા સાયન્સ સિટીની ખાસ પ્રશંસા કરવામાં આવવી એ સમગ્ર ગુજરાત અને દેશના વિજ્ઞાન ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાનના સંદેશથી સાયન્સ સિટી ટીમને નવી ઉર્જા અને ઉત્સાહ મળ્યો છે, અને વિજ્ઞાન સંચાર અને ઇનોવેશન ક્ષેત્રે ભારતને વિશ્વ પાથરે તેવા પ્રયાસોને વધુ વેગ મળશે.