સાણંદ તાલુકાના ગોકળપુરા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન: ૧૨ ગામોના નાગરિકોને ૧૫ વિભાગોની ૪૭ યોજનાઓનો લાભ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત સરકારના સુશાસનના અભિગમને સાકાર કરતી અને વહીવટ તંત્રને નાગરિકોની નજીક લાવતી ‘સેવા સેતુ’ યોજના અંતર્ગત સાણંદ તાલુકાના ગોકળપુરા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમના સાતમા તબક્કાના ફેઝ-૧નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા ગોકળપુરા સહિત કુલ ૧૨ ગામો—નાની દેવતી, મોડાસર, ગોરજ, લેખંબા, કુંવાર, ચરલ, હીરાપુર, બોળ, ફાંગડી, ખીંચા અને વિંછીયાના નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો એકજ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
મહેસૂલ, પંચાયત, આરોગ્ય, કૃષિ, પુરવઠા અને સમાજ કલ્યાણ સહિત કુલ ૧૫ વિભાગોના અધિકારીઓએ નાગરિકોને ૪૭ વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ લાભો પહોંચાડ્યા. આવક, જાતિ અને ક્રિમિલેયરના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડમાં સુધારાઓ, e-KYC, મા અમૃતમ કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, માનવ ગરિમા યોજના અને ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન જેવી સેવાઓ માટે મોટી સંખ્યામાં નાગરિકોએ અવલંબ કર્યો.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે ગ્રામજનોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છવાટા સુધી યોજનાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. તેમણે ખાસ કરીને ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના’ના લાભો વિશે માહિતી આપી અને લોકોને વીજળી બચાવતી તથા પર્યાવરણરક્ષક આ યોજનામાં જોડાવાનો અનુરોધ કર્યો.
દિલ્હીથી આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના કાર્યાલયની ઉચ્ચ સ્તરીય ટીમે પણ આ સેવા સેતુ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ સ્ટોલ પર અપાતી સેવાઓ અને નાગરિકોના પ્રતિસાદની સમીક્ષા કરી સમગ્ર આયોજનની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ બાદ ધારાસભ્ય અને અધિકારીઓએ માણકોલ ગામની મુલાકાત લીધી જ્યાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના’ અંગે જાગૃતિ કેમ્પ યોજાયો હતો.
આ રીતે, ગોકળપુરા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ નાગરિકો માટે ઉપયોગી સાબિત થયો અને સરકારના ‘ડોર સ્ટેપ ડિલિવરી’ના ઉદ્દેશને વધુ મજબૂતી મળતી જોઈ.