ગુજરાતમાં શિક્ષણને નવી દિશા આપતી ટપાલ સેવા ‘જ્ઞાન પોસ્ટ’નો પ્રારંભ: હવે શૈક્ષણિક સામગ્રી મોકલવી બની વધુ સરળ અને સસ્તી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ભારતીય ટપાલ વિભાગે 1 મે 2025થી રાજ્યભરમાં ‘જ્ઞાન પોસ્ટ’ નામની નવી અને પોસાય તેવી ટપાલ સેવા શરૂ કરી છે, જે શૈક્ષણિક સામગ્રીના ઝડપી, સસ્તા અને ટ્રેક કરી શકાય તેવા વિતરણ માટે તૈયાર કરાઈ છે. રાજ્યની તમામ વિભાગીય પોસ્ટ ઓફિસો પરથી આ સેવા ઉપલબ્ધ રહેશે.
‘જ્ઞાન પોસ્ટ’ દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓ, શિક્ષણ સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો માટે પૃથ્વી માર્ગથી અભ્યાસસામગ્રી અને પુસ્તકો ઓછા ખર્ચે મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. આ સેવા સ્પીડ પોસ્ટ અને રજિસ્ટર્ડ પોસ્ટ જેવી જ છે, જેમાં વસ્તુને ઓનલાઈન ટ્રેક પણ કરી શકાય છે.
અમદાવાદ જીપીઓના ડેપ્યુટી ચીફ પોસ્ટમાસ્ટર એ. આર. શાહે જણાવ્યું કે, “‘જ્ઞાન પોસ્ટ’ ભારત સરકારના ‘હર ઘર જ્ઞાન, હર સપને ઉડાન’ વિઝનને સાકાર કરવાનું એક પગલું છે. આ સેવા દ્વારા ભૌગોલિક અને આર્થિક અવરોધો છતાં પણ શૈક્ષણિક સામગ્રી દેશના દરેક ખૂણામાં પહોંચાડી શકાશે.”
આ સેવાથી વાર્ષિક અંદાજે 70 લાખ શિપમેન્ટની ડિલિવરી થવાની ધારણા છે. પેકેટનું બુકિંગ કરતી વખતે ગ્રાહકને માન્ય રસીદ આપવામાં આવશે અને વધારાની ફી ચૂકવીને પ્રેષક સહી સાથે ડિલિવરીનો પુરાવો પણ મેળવી શકે છે.
દર નિર્ધારણ (કરવેરા સિવાય):
• 300 ગ્રામ સુધી – ₹20
• 301 થી 500 ગ્રામ – ₹25
• 501 થી 1000 ગ્રામ – ₹35
• 1001 થી 2000 ગ્રામ – ₹50
• 2001 થી 3000 ગ્રામ – ₹65
• 3001 થી 4000 ગ્રામ – ₹80
• 4001 થી 5000 ગ્રામ – ₹100
ન્યૂનતમ વજન 300 ગ્રામ અને મહત્તમ 5 કિલોગ્રામ નક્કી કરાયું છે.
સરકાર માન્ય બોર્ડ, યુનિવર્સિટીઓ, સ્વાયત્ત અને વૈધાનિક સંસ્થાઓ દ્વારા અભ્યાસક્રમ માટેની સામગ્રી મોકલવી યોગ્ય ગણાશે. સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસ માટેના પુસ્તકો તથા સામાજિક-સાંસ્કૃતિક સાહિત્ય પણ મોકલી શકાય છે.
મુખ્ય શરતો અને પ્રતિબંધો:
-
પેકેટ પર સ્પષ્ટપણે ‘Gyan Post’ લખેલું હોવું ફરજિયાત
-
મેગેઝિન/જર્નલ જેવી સામયિક સામગ્રી મોકલી શકાશે નહીં
-
ધંધાકીય પુસ્તકો કે જાહેરાતોવાળું સાહિત્ય અપાત્ર
-
દરેક પુસ્તકમાં પ્રકાશકનું નામ હોવું ફરજિયાત
-
પેકેજિંગ એટલું પારદર્શી હોવું જોઈએ કે તપાસ શક્ય બને
-
નિયમોનું ઉલ્લંઘન થાય તો સામાન્ય પાર્સલ ગણાઈ અને બમણા તફાવતની વસૂલી થશે
આ સેવા વિભાગીય પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરથી સરળતાથી ઉપલબ્ધ છે. ગ્રાહક જરૂર મુજબ રજિસ્ટ્રેશન, વીમા અને રીટર્ન ઓપ્શન જેવી વધારાની સુવિધાઓનો પણ લાભ લઈ શકે છે.
‘જ્ઞાન પોસ્ટ’ ખાસ કરીને ગ્રામીણ, દૂરસ્થ અને અલ્પવિકસિત વિસ્તારોમાં શિક્ષણના પ્રમાણભૂત સાધનો પહોંચાડવા માટે આશાસ્પદ પગલું ગણાયું છે. ટપાલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ અનોખી સેવા રાજ્યના વિદ્યાર્થીઓ અને જ્ઞાનપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.