સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિરોધી સંદેશ માટે AMCનો કલાત્મક પ્રયાસ નજર ખેંચે છે
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે માનસી સર્કલ ખાતે મૂકાયેલું અનોખું સ્કલ્પ્ચર શહેરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં AMCના નવિન પ્રયાસો દેશવ્યાપી સ્તરે પ્રશંસા પામી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં અમદાવાદના મિશન મિલિયન ટ્રીઝ સહિતના પ્રયોગોનો ઉલ્લેખ કરીને કોર્ટોરેશનના પ્રયાસોને બિરદાવ્યા હતા.
તદ્દન નવી દૃષ્ટિ સાથે AMCએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે એક દ્રષ્ટાંતરૂપ શિલ્પ માનસી ચાર રસ્તા પર સ્થાપિત કર્યું છે. શિલ્પ દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો છે કે પ્લાસ્ટિક થેલીઓના સ્થાને કાગળની થેલીઓનો ઉપયોગ કરવો પર્યાવરણ માટે લાભદાયી છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી સર્જાતા પ્રદૂષણ સામે જનજાગૃતિ ફેલાવવાનો હેતુ ધરાવતું આ શિલ્પ લોકોને ફોટોગ્રાફી અને ચર્ચા માટે આકર્ષી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવાં વધુ શિલ્પો મૂકવાની યોજના AMCએ તૈયાર કરી છે, જેથી નાગરિકોમાં પર્યાવરણપ્રત્યેની જવાબદારી વધુ મજબૂત બને.