
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો, ડી.વાય.એસ.પી. નયનાબેન ગોરડીયાનું પ્રેરણાદાયી માર્ગદર્શન
રાજુલા : રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ, રાજુલા ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રાજુલા ટાઉન પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી. શ્રીમતી નયનાબેન ગોરડીયા, એસ.બી.આઈ. રાજુલા શાખાના મેનેજર શ્રી પબીત્ર મોહન જેના, કોલેજ સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા તેમજ જાણીતા પત્રકાર શ્રી યોગેશભાઈ કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સૂતરની આંટીથી મહેમાનોનું સ્વાગત-સન્માન અને પ્રાર્થના ગાન યોજાયું.
ડી.વાય.એસ.પી. શ્રીમતી નયનાબેન ગોરડીયાએ પોતાના પ્રેરણાદાયી વ્યાખ્યાનમાં વિદ્યાર્થિનીઓને કારકિર્દી ઘડતર, દૃઢ સંકલ્પ, સતત મહેનત અને આત્મવિશ્વાસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે મહિલાઓની સુરક્ષા, સાવચેતીના પગલાં તેમજ કાનૂની જાગૃતિ અંગે પણ વિસ્તૃત માહિતી આપી અને દરેક બહેનને સજાગ રહેવા અનુરોધ કર્યો.
એસ.બી.આઈ. રાજુલા શાખાના મેનેજર શ્રી પબીત્ર મોહન જેના દ્વારા બેંકિંગ સેવાઓ, સાયબર સુરક્ષા, ડિજિટલ બેંકિંગમાં રાખવાની સાવચેતી તેમજ બેંકિંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને બેંકિંગ ક્ષેત્રમાં જોડાઈ દેશસેવામાં યોગદાન આપવાનું મહત્વ પણ સમજાવ્યું.
કાર્યક્રમના અંતે ડો. લાલજીભાઈ સોલંકીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જાગૃતિબેન તેરૈયા, ભગવતીબેન વડીયા, એન.એસ.એસ.ની સ્વયંસેવિકા બહેનો તથા સમગ્ર પ્રાધ્યાપક મંડળના સહયોગથી કરવામાં આવ્યું હતું.
કોલેજ દ્વારા સમયાંતરે આવા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમો યોજી વિદ્યાર્થિનીઓને રોજગારલક્ષી માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને સ્વાવલંબન તરફ પ્રેરણા આપવામાં આવે છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
યોગેશ કાનાબાર રાજુલા




