ઝારોલાની શ્રેષ્ઠ હાઇસ્કુલને સર્વ શ્રેષ્ઠ બનાવવા માટે શિક્ષકોની મનોમંથન બેઠક યોજાઈ
ઝારોલાની શ્રેષ્ઠ હાઇસ્કુલને સર્વ શ્રેષ્ઠ બનાવવા માટે શિક્ષકોની મનોમંથન બેઠક યોજાઈ.
ઉનાળા વેકેશનમાં શિક્ષકો રાજ્યની 150 જેટલી શાળાની મુલાકાત લેશે.
કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. પરંતુ આજના મોબાઇલ,મોઘવારી અને મનોરંજનના ભરપૂર સાધનોના યુગમાં માતા બાળક પાછળ એટલું ધ્યાન આપતી નથી. તેમજ રોજે રોજના નવા પરિપત્રોની ભરમાર વચ્ચે, આંકડાકીય માહિતી ભરવામાંથી ઊંચા ના આવનાર શિક્ષકો બાળકો પાછળ શું મહેનત કરે? અને પરિણામે બાળક પણ ધીમે ધીમે અભ્યાસમાંથી પાછળ પડતો જાય છે.
આવા સમયમાં બાળકોનો વિકાસ એ જ મારુ ધ્યેય, એવું સતત વિચારતા આણંદ જિલ્લાના ,બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઇસ્કુલના બાલમંદિર થી 12 ધોરણમાં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકોની ટીમ દ્વારા પોતાની શ્રેષ્ઠ શાળાને સર્વશ્રેષ્ઠ બનાવવાનું બીડુ ઝડપ્યું છે. શાળામાં કાર્યરત 32 શિક્ષકોની ટીમે આ માટે શું કરવું તે અંગેની મનોમંથન બેઠક શાળામાં યોજી હતી. શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલ સાથે અઠવાડિયા પહેલા થયેલ ચર્ચા મુજબ દરેક શિક્ષકોએ ઉનાળા વેકેશન દરમિયાન રાજ્યની વિવિધ પાંચ શાળાની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. અને તાજેતરમાં કેટલાક શિક્ષકો ચૂંટણી લક્ષી મિટિંગમાં ગયા હતા ત્યારે બાકીના શિક્ષકો ભેગા મળ્યા હતા અને દરેક શિક્ષક વેકેશનમાં રાજ્યની કઈ શાળાની મુલાકાતે જશે ત્યાં જઈને તે કોને કોને મળશે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછશે, કેવા પ્રકારની માહિતી ભેગી કરશે, શાળાના ભવાવારણનો અભ્યાસ કરશે, પોતાની શાળા કરતાં તે શાળામાં નવું શું છે, કઈ સારી બાબત છે, તેનો અમલ કેવી રીતે કરે છે, જે તે સુવિધા ઉપલબ્ધ કેવી રીતે કરી વગેરે જેવી ફક્ત સારી બાબતોનો અભ્યાસ કરી તેની નોંધ કરશે અને પોતાની શાળામાં તેવું કરવા તે શું કરી શકશે વગેરે જેવી બાબતો પર દરેકે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઝારોલા ગામ અને આ ગામની શાળામાં આજુબાજુના 18 જેટલા ગામના વિદ્યાર્થીઓ કે જેઓ આ શાળામાં ભણવા માટે આવે છે તે નસીબદાર છે કે તેમને આવા કર્મઠ, હંમેશા વિદ્યાર્થીઓના માટે સતત કંઈક ને કંઈક કરવા માટે તત્પર એવા હકારાત્મક વિચારસરણીથી કામ કરનારા શિક્ષકો મળ્યા છે, કે જેઓ એકબીજા પ્રત્યે ઈર્ષા નહીં પરંતુ સદભાવના સાથે ભેગા મળીને કામ કરે છે અને સતત વિદ્યાર્થીઓના વિકાસ માટે ચિંતન કરે છે, નવા વિચારોને અપનાવવા માટે હંમેશા તૈયાર રહે છે. જે શિક્ષકો ચૂંટણીની મિટિંગમાં ગયા છે તેઓ અલગથી પોતે વેકેશનમાં જે કરવાના છે તેની માહિતી આચાર્યશ્રીને પછીથી જણાવશો.આમ શાળાના 32 શિક્ષકો દ્વારા રાજ્યની વિવિધ 150 જેટલી શાળાની મુલાકાત લઇ દરેકમાંથી શ્રેષ્ઠ વસ્તુના વિચાર લાવી બધા ભેગા મળીને કેળવણી મંડળ ઝારોલા અને દાતાઓના સહકારથી ઝારોલાની શ્રેષ્ઠ હાઇસ્કુલને સર્વશ્રેષ્ઠ બનાવવા પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી ભરપૂર પ્રયત્ન કરશે અને તે થકી વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ ઘડતર થાય તેમ જ આ શાળાનો વિદ્યાર્થી નામાંકિત વિદ્યાર્થી બની પોતાના માતા પિતાને ગૌરવ અપાવે તે જ આ શાળાના શિક્ષકોનો ધ્યેય છે.