કેન્દ્ર પુરસ્કૃત એમ.આઇ.ડી.એચ. યોજનાના ઇન્ડો-ડચ પ્રોજેક્ટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાંતે લીધી આણંદ જિલ્લાની મુલાકાત
*****
ખેડૂતો સાથે ફુલોની ખેતીમાં રહેલ વિવિધ ભાવિ શક્યતાઓ પર થઈ વિસ્તૃત ચર્ચા
*****
આણંદ, બુધવાર :: કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલેપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (એમ.આઇ.ડી.એચ. –MIDH) યોજના હેઠળના ઇન્ડૉ-ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત જોશ વાન મેગ્લેન દ્વારા આણંદ જિલ્લાના કુંજરાવ ગામની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે કુંજરાવ ગામના ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને ફુલોના પાકના વાવેતર અને તે સાથે વિવિધ ફૂલો વિશે વિસ્તૃત માહિતીનું આદાન-પ્રદાન કરી ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું.
આ મુલાકાત દરમિયાન કુંજરાવ ગામ ખાતે જોશ વાન મેગ્લેન સાથે વિવિધ વિષય નિષ્ણાતોએ સ્થાનિક ખેડૂતો સાથે ગુલાબ, ગલગોટા તેમજ સ્પાઈડર લીલી જેવા ફુલ પાકોની સાથે ભવિષ્યમાં વિવિધ ફૂલોના પાકનું વાવેતર અને તે અંગેના આયોજનો, વૈશ્વિક બજાર, નિકાસ અને મૂલ્યવધૅન અંગેની શક્યતાઓ તેમજ ફુલ પાકોમાં આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે વિષદ ચર્ચા કરી તેમને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
આ મુલાકાત દરમિયાન વડોદરા ઝોનના સંયુક્ત બાગાયત નિયામકશ્રી (વિ.ક.) ડૉ. જે. એમ. તુવાર, ગાંધીનગરના નાયબ બાગાયત નિયામકશ્રી(રા.ક.) ડૉ. ફારુક પંજ, આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. એસ.એસ.પિલ્લાઇ અને મદદનિશ બાગાયત નિયામક શ્રી એન. આઇ. પટેલ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી,આણંદના બાગાયત મહાવિદ્યાલયના મદદનીશ પ્રધ્યાપક અને વડા, ડૉ. અમીતાબેન પરમાર, અને ડૉ. ઉર્મીલ ચૌધરી તેમજ ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.