
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – CM ના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી ઉભી થતા તેમની મુસાફરીમાં વિક્ષેપ,મુખ્યમંત્રીને રોડ માર્ગે સાબરકાંઠા જવા માટે રવાના થવું પડ્યું

અરવલ્લી જિલ્લામાં આજે એક અચાનક પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે રાજ્યના મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી ઉભી થતા તેમની મુસાફરીમાં વિક્ષેપ આવ્યો હતો. બાયડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી હેલિકોપ્ટર મારફતે આગળ જવાના હતા, પરંતુ બાયડ-ધનસુરા રોડ પર બનાવાયેલા હેલિપેડ પરથી હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું નહોતું.
પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં ટેક્નિકલ એરર સર્જાતા પાઇલટ દ્વારા ઉડાન રોકવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ટેક્નિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હેલિકોપ્ટરની તપાસ શરૂ કરી હતી. સુરક્ષા દૃષ્ટિએ તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.હેલિકોપ્ટર ઉડાન માટે યોગ્ય સ્થિતિમાં ન હોવાથી મુખ્યમંત્રીને રોડ માર્ગે સાબરકાંઠા જવા માટે રવાના થવું પડ્યું હતું. આ દરમિયાન સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક રહી કામગીરી સંભાળી હતી.ટેકનિકલ ટીમ દ્વારા હેલિકોપ્ટરમાં આવેલી ખામી દૂર કરવા માટે રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ છે. ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે અને ખામીનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે નિષ્ણાતોની ટીમ કાર્યરત છે.





