
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
મેઘરજ – બારદાનની અછતથી મેઘરજમાં ટેકાના ભાવે ઘઉં ખરીદી ખોરવાઈ, ખેડૂતોમાં રોષ
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ટેકાના ભાવે ઘઉં ખરીદી પ્રક્રિયામાં બારદાનની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સરકાર દ્વારા ખરીદી કેન્દ્રો શરૂ કરાયા હોવા છતાં પૂરતી વ્યવસ્થા ન હોવાના આક્ષેપો વચ્ચે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મેઘરજ ખાતે કુલ 702 ખેડૂતોની નોંધણી થઈ હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 45 ખેડૂતો પાસેથી જ ઘઉંની ખરીદી થઈ શકી છે. બારદાનના સંકટને કારણે ખરીદી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અનેક ખેડૂતો પોતાના પાક સાથે ખરીદી કેન્દ્રો પર રાહ જોતા જોવા મળી રહ્યા છે.ભારતીય કિસાન સંઘે આ મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું કે, “ખરીદી કેન્દ્રો તો ખોલવામાં આવ્યા છે, પરંતુ જરૂરી બારદાન અને સુવિધાઓનો અભાવ હોવાથી ખેડૂતો પરેશાન બની રહ્યા છે.”કિસાન સંઘે મેઘરજ ઉપરાંત માલપુર અને મોડાસા કેન્દ્રો પર તાત્કાલિક બારદાન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સાથે જ ખેડૂતોના ઘઉંની વહેલી તકે ખરીદી શરૂ કરવા માટે અસરકારક આયોજન કરવાની માંગ ઉગ્ર બની છે.ખેડૂતોનું કહેવું છે કે, જો સમયસર ખરીદી નહીં થાય તો તેમને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. ત્યારે હવે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરીને સમસ્યાનો ઉકેલ લાવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.





