
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં યુજીવીસીએલની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ – વૈયા ફીડરમાં થ્રિફેઈઝ લાઈટ વારંવાર ખોરવાતા લોકો અંધારામાં જીવવા મજબૂર

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બેડઝ ગામમાં યુજીવીસીએલની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના વૈયા ફીડરમાં થ્રિફેઈઝ લાઈટ વારંવાર ખોરવાતી હોવાના કારણે પુજારા ફળીયું અને ભરવાડ ફળીયું વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યોતિગ્રામ યોજના હેઠળ મળતી વીજળી નિયમિત ન રહેતા દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે. ગરમીના દિવસોમાં સતત વીજ પુરવઠો બંધ રહેતા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરેલુ કામકાજ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ તેની સીધી અસર પડી રહી છે.ગ્રામજનોએ આ સમસ્યા અંગે અનેક વખત યુજીવીસીએલ કચેરીમાં રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે.આખરે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો યુજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓ સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી તાત્કાલિક વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.





