
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં પાણી સંકટ ઘેરાયું, મેશ્વો ડેમમાંથી પાણી છોડવાની માંગ ઉઠી – કલેક્ટરને પત્ર લખ્યો

અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે. શામળાજી વિસ્તારની મેશ્વો નદી સૂકી જતાં આસપાસના અનેક ગામોમાં પીવાના પાણી તેમજ ખેતી માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે.
આ મામલે ખેડૂત એકતા મંચના પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખી મેશ્વો ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે વાંદીયોલ, શામળપુર, ખારી, વઝાપુર, બોલુંદ્રા, બામણવાડ સહિત 30થી વધુ ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ કૂવા, બોર અને હેન્ડપંપના પાણીના તળ સતત ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે ચિંતામાં મુકાયા છે. પશુઓ માટે પણ પાણીની અછત ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો સમયસર ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.





