દારૂ પીનારાઓને 5 પ્રકારના કેન્સરનું જોખમ
આજકાલ ખરાબ લાઇફસ્ટાઈલના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ ઝડપથી વધી રહી છે. કેન્સર એક નહીં પરંતુ અનેક પ્રકારના હોય છે. જેને લઈને ભારતીય મૂળના અમેરિકન સર્જન જનરલ વિવિક મૂર્તિએ એક રિપોર્ટમાં કહ્યું છે કે, દારૂ પીનારાઓને કેન્સરનું જોખમ વધારે રહે છે. ડૉ. મૂર્તિ અનુસાર, દારૂથી દર વર્ષે 1 લાખ કેન્સરના કેસ અને 20 હજાર મોત થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, દારૂના સેવનથી ઓછામાં ઓછા સાત પ્રકારના કેન્સર થઈ શકે છે. જેમાં સ્તન, કોલોરેક્ટલ, યકૃત અને મોંઢાના કેન્સરનો સમાવેશ થાય છે. ડૉ. વિવેક મૂર્તિનું કહેવું છે કે, દારૂની બોટલ પર કેન્સરની એડવાઇઝરી લખેલી હોવી જોઈએ. કારણકે, તે કેન્સરનું મુખ્ય કારણ છે.
ડૉક્ટરનું કહેવું છે કે, દારૂ પીવાથી અનેક પ્રકારના જોખમ વધી જાય છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, કેન્સરના તમામ મામલે લગભગ 5.5 ટકા અને કેન્સરથી થતી તમામ મોતમાંથી 5.8 ટકા દારૂ પીવાના કારણે થાય છે.
દારૂમાં ઇથેનૉલ ભરપૂર માત્રામાં હોય છે અને જ્યારે પોતાનું શરીર તેને તોડે છે, તો આ એસીટેલ્ડિહાઇડ બની જાય છે. જે જાણીતું કાર્સિનોજન છે. ડૉક્ટર અનુસાર, આ યૌગિક ડીએનએ અને કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે કેન્સરના કોષોને વધવાની તક મળે છે.
આલ્કોહોલ એસ્ટ્રોજન જેવા હોર્મોન્સના સ્તરને અસર કરે છે, જેના કારણે શરીરના કોષો વધે છે અને વધુ કોષોને નુકસાન થાય છે, જેનાથી કેન્સરનું જોખમ વધારે છે.
દારૂના સેવનથી શરીરને કેન્સરથી રક્ષણ આપતા પોષક તત્ત્વોને શોષવામાં અને તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. તેમાં વિટામિન A, B1, B6, C, D, E, K, ફોલેટ, આયર્ન અને સેલેનિયમ હોય છે.
આલ્કોહોલના સેવનથી શરીરમાં કેલરીની માત્રા વધે છે, જેનાથી વજન વધે છે. ડૉકટરોનું કહેવું છે કે વધારે વજન 12 થી વધુ પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે.