ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ફરજ બજાવતા શિક્ષકશ્રી સી બી રાવલ સાહેબનો વિદાય સમારંભ યોજાયો
25 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સી બી રાવલ સાહેબનો જન્મ ઈ:સ 1965 માં દાંતા તાલુકાના એક નાનકડા ગામ પેથાપુરમાં મધ્યમ પરિવારમાં થયો હતો. ગામમાં વીજળીની કોઈ વ્યવસ્થા ન હોવાથી ફાનસના અજવાળે તેમને અભ્યાસ કર્યો હતો. પેથાપુરથી કાચા માર્ગે ચાલતા ચાલતા સર ભવાનીસિંહ વિદ્યાલયમાં ધોરણ 8 થી 12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ M. કોમ B. Edની પદવી મેળવી ઈ.સ 1989 માં અમદાવાદ ખાતે તેઓ કોમર્સ વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યારબાદ વતનનો મોહ લાગતા ઈ:સ 1992માં સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ઉચ્ચતર માધ્યમિક ( કોમર્સ) વિભાગમાં જોડાયા હતા. સ્વભાવે સરળ પ્રકૃતિ ધરાવનાર છે. કોમર્સના શિક્ષકોમાં તેમની ગણના શ્રેષ્ઠ શિક્ષકોમાં થાય છે. તેઓ સરકારના નીતિ નિયમો અનુસાર 31 5 2023 ના રોજ વય નિવૃત્ત થનાર છે. આજરોજ સરભવાનસિંહ વિદ્યાલય ખાતે શાળા પરિવાર વયનિવૃત્ત થનાર શ્રી સી બી રાવલ સાહેબનો સુંદર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સી બી રાવલ સાહેબના ગુરુ એવા ડૉ. ગોવિંદભાઈ પ્રજાપતિ સાહેબ અને તુલસીભાઈ પરમાર સાહેબ તથા સર ભવાનીસિંહ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્યશ્રી વીરભદ્રસિંહ રાઓલ સાહેબ તથા ભૂતપૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડન્ટશ્રી અચળસિંહ રાણા સાહેબ તથા આજ શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ અને આજે પોતાના વતનમાં આચાર્યશ્રી તરીકે ફરજ બજાવે છે એવા દિપક ભાઈ પટેલ સાહેબ અને ભરતભાઇ ઠાકોર સાહેબ, તથા 1992 થી 1999 સુધી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેવાઓ આપનાર ગઢવી સાહેબ તથા વહીવટી વિભાગમાંથી નિવૃત્ત થયેલા રાજપુરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ ચૌધરીએ તમામ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સી બી રાવલ સાહેબના આમંત્રણને માન આપીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તેમના ગુરુઓનું પોતાના હસ્તે પૂજન કર્યું હતું અને સાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. શાળાની શિક્ષિકા બહેનો દ્વારા સીબી રાવલ સાહેબ અને તેમના ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેનનું કંકુ તિલક દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું . ત્યારબાદ શાળાના આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી અને સ્ટાફમિત્રોએ સી બી રાવલ સાહેબને શ્રીફળ, સાકર આપી સાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું અને એક યાદગાર ભેટ સોગાદ પણ તેમને આપવામાં આવી હતી. શિક્ષકશ્રી એન એ રાયજાદાએ પુસ્તક આપી પોતાના માર્ગદર્શક એવા સી બી રાવલ સાહેબનું સન્માન કર્યું હતું. ત્યારબાદ સર ભવાનીસિંહ વિદ્યાલયની બહેનો દ્વારા શ્રીમતી સુશીલાબેનને સાડી ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકમિત્રો એવા આર એચ પઢિયાર, ડી કે ચૌધરી અને એન એ રાયજાદા અને ચેતનભાઈ પટેલે એ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ડૉ ગોવિંદભાઇ પ્રજાપતિ સાહેબે પોતાના શિષ્યની આખી જીવનગાથા વર્ણવી હતી. ગઢવી સાહેબે પણ પોતાના યાદગાર પ્રસંગોનું વર્ણન કર્યું હતું .સી બી રાવલ સાહેબે પોતાની માતૃસંસ્થા અને પોતાની કર્મભૂમિનું ઋણ અદા કરવા માટે શાળાના વિકાસ અર્થે ₹51,000નું રોકડ દાન કર્યું હતું અને સાથે સાથે વિદ્યાર્થી રાહત ફંડમાં પણ 5000 રૂપિયાનું રોકડ દાન કર્યું હતું. સાથે સાથે સર ભવાનીસિંહ વિદ્યાલયના ત્રણેય સેવકમિત્રો અને શાળાના વોચમેનને પણ યાદગાર સ્વરુપે ભેટ આપી હતી. છેલ્લે સી બી રાવલ સાહેબે પોતાની 34 વર્ષની સફરનો સાર પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યો હતો ત્યારે શાળાના પરિસરમાં ગમગીની છવાઇ ગઇ હતી. છેલ્લે શાળાના શિક્ષકશ્રી સંજયસિંહ રાઓલે આભાર વિધિ કરી હતી. છેલ્લે શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિક્રમભાઈ પ્રજાપતિએ કર્યું હતું.