માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ, પાલનપુર ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના વરદહસ્તે ‘સંસ્કૃત કક્ષ’નું લોકાર્પણ

2 ઓગસ્ટ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સંસ્કૃત ભાષાના સંવર્ધન, પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તરફથી રાજ્યભરમાં વિવિધ શાળાઓમાં સંસ્કૃત કક્ષ બનાવવા માટેની યોજના અમલમાં મુકવામાં આવી છે જે અંતર્ગત
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર સ્થિત માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના સંસ્કૃત શિક્ષક અને સંસ્કૃત સંયોજક ડૉ.તારાબેન સોલંકી તેમજ માધ્યમિક વિભાગ માં સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી જનકભાઈ ચોરાસિયા તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત ‘સંસ્કૃત કક્ષ’ નું ભવ્ય લોકાર્પણ યોજાઈ ગયું. આ કક્ષનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) શ્રી ડો. હિતેષભાઈ પટેલ સાહેબના વરદહસ્તે વિધિવત રીતે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત શ્લોકોચ્ચારણ, વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું . શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તેમજ અન્ય મહાનુભાવોનું સાલ અને સ્મૃતિચિહ્ન આપી
ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
સંસ્કૃત કક્ષની વિશેષતાઓ: કક્ષની દીવાલો પર પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિતો, શ્લોકો અને ભારતીય ઋષિમુનિઓ તેમજ વિદ્વાનોના ચિત્રો મુકવામાં આવ્યા છે.સમૃદ્ધ સાહિત્ય: વિદ્યાર્થીઓ સરળતાથી સંસ્કૃત શીખી શકે તે માટે વ્યાકરણ, વાર્તાઓ અને સંસ્કૃત સાહિત્યના પુસ્તકો ઉપલબ્ધ કરાવાયા છે.આધુનિક શિક્ષણ: સંસ્કૃત સંભાષણ અને ઉચ્ચારણ શુદ્ધિ માટે વિશેષ પ્રવૃત્તિઓ યોજી શકાય તેવું વાતાવરણ તૈયાર કરાયું છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, “સંસ્કૃત એ તમામ ભારતીય ભાષાઓની જનની છે. શાળા કક્ષાએ જ બાળકોને સંસ્કૃત ભાષાનું વાતાવરણ મળશે તો તેમનામાં સંસ્કાર અને ભાષાકીય સમૃદ્ધિ બંનેનો વિકાસ થશે.”
. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્યશ્રી નરેન્દ્ર સિંહ દેવડાના માર્ગદર્શન હેઠળ ઉમદા કાર્ય માટે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સમાપન શાંતિપાઠ સાથે થયું.







