BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ

કુદરતી અને કુત્રિમ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીનું ડેમોસ્ટ્રેશન દ્વારા માહિતી માર્ગદર્શન અપાયું

(માહિતી બ્યુરો,પાલનપુર)

આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે આપદા મિત્રોની એક દિવસીય રીફ્રેશર તાલીમ યોજાઈ હતી. જેમાં કુદરતી અને કુત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેનું માહિતી સાથે ડેમોસ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં 55 આપદા મિત્રોએ ભાગ લીધો હતો.

તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો, આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે ફાયર ઓફિસરશ્રી પ્રદીપભાઈ બારોટ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી.જ્યારે GVK-108 પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને  પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોસ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી.

તાલીમના બીજા સેશનમાં એસ.ડી.એફ.એફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી. જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતી ના પગલાં , પુર બચાવ કામગીરી, વાવાઝોડું, આકાશી વીજળી, ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોસ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે આરોગ્ય  વિભાગ પાલનપુર દ્વારા CPR ( હૃદય ફેફસાં પુનઃ પ્રાણ સંચારણ) અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર શ્રી પી.સી.રાજપૂત, જિલ્લા પ્રોજેકટ અધિકારીશ્રી સંજયભાઈ ચૌહાણ, પ્રોગ્રામ મેનેજરશ્રી હેમંતકુમાર સોલંકી, SDRF પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી બી.એલ.વસાવા અને સિવિલ હોસ્પિટલ પાલનપુર નો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!