GUJARATLODHIKARAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના પારડીના ભુવાની કપટલીલાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા શાપર વેરાવળમાં ભુવા સહિત પાંચ શખ્સો સામે ગુન્હો દાખલ થયો

તા.૧૨/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ભુવાએ દાણા જોઈ પુત્રવધુને પિયર મોકલો નહિં તો પરિવારમાં મોત થશે. ભુવાના દાણાએ બે પરિવારોને અલગ કયાં. ભુવાએ ગામને નિચાજોણું કર્યું.

ભુવાએ કબુલાતનામું આપી કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી દીધી. જિલ્લા પોલીસ વડા, શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.

વિજ્ઞાન જાથાનો ૧૨૫૫ મો સફળ પદાફાશ.રાજયમાં દોરા-ધાગા, તાંત્રિકની પુરાવા સાથે જાથાને માહિતી આપવા અનુરોધ.

Rajkot: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામમાં છેલ્લા સાત વર્ષથી દોરા-ધાગા, ધૂણવું, જોવાના ધતિંગ કરનાર ભુવા ધીરૂભાઈ મગનભાઈ ઘરસુડીયા પટેલનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૫૫ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુવાને દાણા જોવાની વિધિ ડિંડક સાબિત થવાથી કબુલાતનામું સાથે માફી માંગી બંધની જાહેરાત કરી હતી. રીમાએ ભુવા સહિત પાંચ શખ્સો સામે ગુન્હો નોંધાવતા ચકચાર થવા પામી હતી.

બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે સરધાર ગામના બાબુભાઈ બાલાભાઈ ઢાંકેચા, દિકરી રીમા સાથે પરિવાર આવીને આપવિતીમાં માહિતી આપી તેમાં પારડીના ભુવા ધીરૂના કારણે બે પરિવારોમાં વિખવાદ થયો અને દિકરી રીમાને બે મહિના પહેલા ષડયંત્ર મુજબ સાસરીયા પક્ષના મુકી ગયા બાદ દાણા જોવામાં રીમાનું લગ્ન જીવન સમાપ્ત નહિ થાય તો પરિવારમાં કોઈકનું મોત થશે તેવું કારણ આપી તેડવા આવતા ન હતા. પતિ સહિત ઘરના સદસ્યોએ ૨૫ તોલા સોનું હસ્તગત કરી લીધું અને પિયર પક્ષને જાકારો આપી દીધો. સમાધાન માટે ખુબ પ્રયત્નો કર્યા પરંતુ કારગત નિવડા ન હતા. ભુવાના દાણા અવરોધ સાબિત થયા. શાપર વેરાવળ રહેતા મુકેશ મેઘજીભાઈ કાપડીયાએ વિલનનું પાત્ર ભજવી ભુવા પાસે કામ કઢાવી લીધું હતું. રીમાને ઘરમાંથી સાસુનો અતિશય ત્રાસ, જેઠાણી ભૂમિએ સાત-આઠ વાર માર માર્યો, જેઠ હાર્દિક બે-ત્રણ વાર પીઠમાં ધબ્બા માર્યા તેવી હકિકત જણાવી રડવા લાગી હતી. પતિ કૃણાલ સારી રીતે રાખતા હોય સહન કરતી હતી. ભુવાના કહેવાથી પતિએ સાથ છોડી દીધો. આપઘાત કરવા જતા ગામ લોકોએ સમજાવી પરત કરી હતી. ભુવાનો રસ્તો વિજ્ઞાન જાથા કરશે તેવું જણાવતા પરિવાર રાજકોટ સ્થિતિ કાર્યાલયે આવ્યો હતો. દિકરી રીમાને બીજો સંસાર માંડવો નથી તેવું મક્કમતા હોય માતા-પિતા લાચાર હતા. સમગ્ર હકિકત સામે આવતા ભુવાનો પર્દાફાશ અને ત્રાસની ફરિયાદ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પ્રફુલ્લાબેન ઢાંકેચા, અમીતભાઈ રણછોડભાઈ સાક્ષી બનીને જરૂરી આધાર-પુરાવા જાથાને આપ્યા હતા.

સરધારના બાબુભાઈ ઢાંકેચાની હકિકત ખરાઈ કરવા જાથાના ભાનુબેન ગોહિલ, અંકલેશ મનસુખભાઈને પારડી-શાપર વેરાવળ રૂબરૂ મોકલતા સત્યતા સાબિત થઈ હતી. પારડીના લોકોએ ભુવા ધીરૂભાઈના મકાનમાં માતાજીનો મઢ આવેલો છે તેમાં ખોડિયાર માતાજી, સુરાપુરા મેઘાબાપા, વાછરાદાદાનું સ્થાનક આવેલું છે. શ્રધ્ધાળુઓ માનતા રાખી તાવો કરે છે. છેલ્લા આઠ દસ વર્ષથી ભુવાનું જોવાનું કામ ધમધોકાર ચાલે છે. ભુવો વાકચાતુંયમાં ગમે તેને આંજી, ભોળાના દેખાવમાં લાગણી જીતી લેતો હતો. દાણા પાડવામાં ડબલ હોંશિયાર છે. પ્રસંગોપાત ધૂણે છે. મુકેશ કાપડીયાને વાસંગીદાદા આવે ત્યારે ધૂણે છે. ઘર આખું અંધશ્રધ્ધાનું પોટલું છે તેવી માહિતી મળી હતી. ભુવાનો રોલ મુકેશભાઈ સાથે પડયંત્ર મુજબ રીમાને કાયમી પિયર મોકલી ઘરસંસાર સમાપ્તની દિશામાં લઈ જવાનું કાવત્રું જોવા મળ્યું હતું, તેથી જાથાએ ભુવાનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું.

જાથાના જયંત પંડયાએ ભુવાના પર્દાફાશ માટે મુખ્યમંત્રી, ગૃહ સચિવ, આઈ.જી.પી. રાજકોટ પોલીસ અધિક્ષકને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્ત, રક્ષણ સંબંધી વાત મુકતા તંત્રે મંજુરી આપી હતી.

રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ એડવોકેટ ભાવનાબેન વાઘેલા ચંદ્રિકાબેન, રોમિતભાઈ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકિત ગોહિલ, શાપર વેરાવળ પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં જાથાની કામગીરીમાં પી.એસ.આઈ. ઘનશ્યામસિંહ જાડેજા, એ.એસ.આઈ. ભુપેન્દ્રભાઈ સોલંકી, હેડ કોન્સ્ટે. રાજેશભાઈ બાયલ, પો.કોન્સ્ટે. બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્સ્ટે. સોનલબેન હરિયાણી, પો.કોન્સ્ટે. નિમુબેન મેર સહિત પોલીસ જીપ્સી જાથાના વાહનો પારડી ભુવાના ઘરે પહોંચી ગયા.

ભુવા ધીરૂભાઈ માતાજીના સ્થાનક પાસે બેસી પાટમાં દાણા નાખતા હતા. જાથાના જયંત પંડયાએ પરિચય આપી કાયમી ધૂણવું, દાણાની ધતિંગલીલા બંધ કરાવવા આવ્યા છીએ. ભુવો પરિસ્થિતિ પામી હકિકતનો સ્વીકાર કરી ભૂલ કબુલી લીધી. દાણા જોવામાં સંસાર આગળ ચાલે તેમ નથી તે કેવી રીતે ખબર પડે. ભુવો ભાંગી પડયો હતો. મુકેશ મેઘજીભાઈએ ષડયંત્ર કર્યું છે તેના કારણે બોલ્યો હતો તેવું જાહેર કર્યું. જાથાએ માતાજી કદીપણ અલગ ન કરે ભેગા કરે તમોએ કેટલા રૂપિયા લીધા તો ના પાડી હતી. હાજર પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી હતી. લોકોને ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બાદ ભુવાને પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું.

પોલીસ સ્ટેશનમાં હાજર પી.એસ.આઈ. ઘનશ્યામસિંહ જાડેજાએ ભુવા તેમજ સરધારના પરિવારની પૂછપરછ કરી, દિકરી રીમાને આશ્વાસન આપ્યું. ભુવાને કાયદાની ભાષામાં વાત કરતાં વારંવાર માફી, ભૂલનો સ્વીકાર કર્યો હતો. કાયમી ધતિંગ બંધની જાહેરાત કરી દીધી હતી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ ભુવાને ભ્રામકતા, અંધશ્રધ્ધા ફેલાવો ગુન્હો બને છે તેવી સમજ આપી શાપર વેરાવળનાં સાસરિયા પક્ષ સામે અલગ ફરિયાદ દાખલ કરીશું તેવી વાત કરી હતી. ભુવો વારંવાર માફી માગી લેવાથી કબુલાતનામામાં સહી કરતાં બાંહેધરી આપી તેમાં હું ધીરૂભાઈ મગનભાઈ પટેલ, રહે. પારડી, છેલ્લા સાત વર્ષથી જોવાનું, દાણા આપવા, ધૂણવાનું કામ કરું છું. રીમાનો ઘરસંસાર આગળ ચાલે તેમ નથી તેવું જોવામાં આવ્યું હતું તે ખોટું હતું. વેરાવળના મુકેશભાઈની ઈચ્છા મુજબ બોલ્યો હતો. રીમા, પિયર પક્ષના નિર્દોષ છે, ૨૫ તોલા સોનાની વાતમાં અજાણ હોવાનું, ભૂલથી ભોગ બન્યો છું. કાયમી ધતિંગલીલા બંધની જાહેરાતમાં સહી કરી હતી. લોકોની માફી માંગી લીધી હતી. પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા. ભુવાને વારંવાર હિંમત આપવી પડી હતી. મુકેશભાઈ કાપડીયા પરિવારને ખબર પડતા બધાએ મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધા હતા.

જાથાએ ૧૨૫૫ મો સફળ પર્દાફાશમાં જાથાના એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ચંદ્રિકાબેન, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, પોલીસ સ્ટાફમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ જાડેજા, એ.એસ.આઈ. ભુપેન્દ્રભાઈ સોલંકી, હેડ કોન્સ્ટે. રાજેશભાઈ બાયલ, પો.કોન્સ્ટે. બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્સ્ટે. સોનલબેન હરિયાણી, પો.કોન્સ્ટે. નિમુબેન મેર સહિત સ્ટાફે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.

જાથાએ રાજકોટ જિલ્લા પોલીસ વડા, આઈ.જી.પી. નો આભાર માન્યો હતો. પોલીસ સ્ટેશનની સરાહના કરી હતી. પારડીના ભુવા ધીરૂભાઈની ધતિંગ-કપટલીલા કાયમી સમાપ્ત કરાવી હતી. ષડયંત્રમાં સામેલ બધાસામે અલગ રીમાએ ફરિયાદ દાખલ કરી હતી.

Back to top button
error: Content is protected !!