રાજ્ય સરકારે 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી

1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે 1 નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માગ આજે પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરોના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.
હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકારે નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહા નગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહા નગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ના ધ્યેય પાર પાડીને વિકસિત ગુજરાત @2047ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિબદ્ધ છે.
‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ – 8 મહા નગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહા નગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહા નગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવેલી છે.
ત્યારબાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહા નગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહા નગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે 17 મહા નગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીએ કર્યો હતો.
નીતિ આયોગની ‘સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ’ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહા નગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ સંદર્ભમાં આ 9 નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહા નગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે. રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહા નગરપાલિકા બનશે.
ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહા નગરપાલિકા બનશે.
મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહા નગરપાલિકા બનશે.
આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહા નગરપાલિકા બનશે.
મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહા નગરપાલિકા બનશે.
સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહા નગરપાલિકા બનશે.
પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહા નગરપાલિકા બનશે.
નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહા નગરપાલિકા બનશે.
પ્રવક્તા મંત્રીએ નગરપાલિકાઓને મહા નગરપાલિકાઓનો દરજ્જો મળતા જે ફાયદાઓ લોકોને મળશે તેની વિગતો આપતાં ઉમેર્યું કે, નગરપાલિકા/ગ્રામપંચાયતો મહા નગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ થશે.
આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે.
મહા નગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવે છે તેના નાગરિકોને તમામ નાગરિક સુવિધાઓ સમયસર અને સુઆયોજિત મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી તમામ નાણાંકીય તેમજ વહીવટી સપોર્ટ પૂરો પાડશે અને આ વિસ્તારના લોકોની સુવિધાઓમાં અનેકગણો વધારો થાય તે સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની નેમ છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહા નગરપાલિકાઓમાં શહેરી આયોજન (અર્બન પ્લાનિંગ) ટી.પી. સ્કીમ આધારિત અને ઓર્ગેનાઇઝ્ડ રીતે થતું હોવાથી ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે. મહા નગરપાલિકાઓમાં સુનિયોજિત રોડ રસ્તા, કોમર્શીયલ, શૈક્ષણિક, કોમ્યુનિટી, રમતગમતનાં મેદાન જેવા હેતુ માટે જમીન ફાળવવામા આવશે.
મહા નગરપાલિકા બનવાથી તેમાં વસતા લોકો ઉપરાંત નજીકના વિસ્તારોમાં વસતા લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. આ વિસ્તારોમાં એક જ કેન્દ્ર પરથી વધુ વ્યાપક પ્રમાણમાં સેવાઓ પૂરી પાડી શકાશે અને નાગરિકોનું જીવનધોરણ ઊંચુ આવશે.
એટલું જ નહિ, સમયાંતરે નવી મહા નગરપાલિકાઓમાં બી.આર.ટી.એસ., મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે, તેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.





