વાત્સલ્યમ સમાચાર
નવસારી નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ‘ઉલ્લાસમય ઉજવણી’ થીમ સાથે પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમ અન્વયે આજરોજ પ્રોબેશનર આઇ.એસ.એ. શ્રી આર.વૈશાલીના અધ્યક્ષસ્થાને તથા વિવિધ પદાધિકારીઓ,અધિકારીઓ અને શાળા પરિવારના શિક્ષકો, આચાર્યની ઉપસ્થિતીમાં સિસોદ્રા કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સિસોદ્રા કન્યા શાળા ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી આર.વૈશાલીએ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરતા ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના વિતાવેલ ક્ષણો જીવન માટે યાદગાર હોય છે એમ જણાવી સરકારશ્રી જ્યારે આવા કાર્યક્રમ થકી શાળા પ્રવેશોત્સવને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે યાદગાર બનાવે છે તો એક જાગૃત નાગરિક તરીકે આપણે ભણતરમાં ધ્યાન આપી દેશ સહિત સમાજના વિકાસમાં સક્રિયભાગીદારી નોંધાવીએ એમ અનુરોધ કર્યો હતો. તેમણે વાલીઓને તથા શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ અંગે જાગૃત બની તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને શાળાના પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત હિલ્ટી મેન્યુફેક્ચરીંગ ઇન્ડિયા પ્રા.લી. કંપનીના સહયોગથી સિશોદ્રા ગણેશવડ કન્યાશાળાની કુલ-30 વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. રમત ગમત, અભ્યાસ,સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજયકક્ષાની પરિક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાની મુલાકાત લઇ સમગ્ર કેમ્પસની ચકાસણી કરી હતી. આ સાથે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી, શિક્ષકો અને ઉપસ્થિત વાલીઓ સાથે એસએમસી કમીટીની બેઠક કરી શાળા બાબતે જરૂરી ચર્ચામાં ભાગ લીધો હતો.નોંધનિય છે કે, સિસોદ્રા પ્રાથમિક શાળા ખાતે બાલવાટીકામાં પ્રવેશપાત્ર બાળકોમાં કુલ-38 કન્યા, ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકોમાં 02 કન્યા, અને આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોમાં 06 કન્યા અને 04 કુમાર સહિત કુલ-50 વિદ્યાર્થીઓએ શાળા પ્રવેશ કરાવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ટેકનોલોજી અને પર્યાવરણની જાણવણી સહિત અગત્યના વિષય ઉપર વક્તવ્ય રજુ કર્યું હતું.