નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી
21 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
“યોગ ફોર વન અર્થ – વન હેલ્થ” ની વૈશ્વિક થીમ સાથે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર કરવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના બહાદુર જવાનોએ સીમા પર યોગ કરીને સમગ્ર વિશ્વને શાંતિ, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો સંદેશ આપ્યો હતો. સુઈગામ વહીવટી તંત્ર, બી.એસ.એફ અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે નડાબેટ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
યોગ દિનની ઉજવણીમાં બહોળી સંખ્યામાં બીએસએફના જવાનો, સુઈગામ વહીવટી તંત્ર સહિત લોકો જોડાયા હતા અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો. સીમાવર્તી વિસ્તારમાં નડાબેટની નજીકના ગામડાના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને યોગની મૂલ્યતા અંગે જાગૃત બન્યા હતા. યોગ એ શારીરિક તંદુરસ્તી સાથે રાષ્ટ્રીય એકતાનું પણ પ્રતિક છે. યોગ દિવસ નિમિત્તે સુઈગામ પ્રાંત અધિકારીશ્રી અરવિંદકુમાર પ્રજાપતિ, બી.એસ.એફના અધિકારીશ્રીઓ, નાયબ મામલતદારશ્રી પ્રવીણદાન ગઢવી સહિત બહોળી સંખ્યામાં જવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા.