આદર્શ વિદ્યાલય, વિસનગરમાં ‘અમૃત મહોત્સવ /NSS મારફત ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમ ભવાઈ સાથે શુભારંભ થયો
10 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગત રોજ તા.9 ઓગસ્ટ 23 ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં એન.એસ.એસ. પ્રવૃત્તિ થકી પ્રાર્થના સભામાં ‘અમૃત મહોત્સવ તથા મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતો ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભવાઈ કલામાં નિપુણ એવા ઉંઝા તાલુકાના વિશોળ ગામના નિવાસી એવા કલાકારશ્રી સેવંતીલાલ નાયક, કનુભાઈ નાયક અને ગિરિશભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત શાળાના આચાર્યશ્રીએ સાલ ઓઢાડી કર્યુ હતુ.પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવા તથા સરકારશ્રીના પ્રજાલક્ષી વિવિઘ કાર્યક્રમો જેવા કે દિકરો- દિકરી એક સમાન, બેટી બચાઓ બેટી પઢાઓ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, હર ધર શૌચાલય, વૃક્ષો વાવો વરસાદ લાવો, વ્યસન ભગાવો શરીર બચાવો વગેરે વિષે પ્રેરણાદાયી મનોરંજન શૈલી – સંવાદ દ્વારા તથા લોકગીતો દ્વારા વિદ્યાર્થીઓને રસતરબોળ કરી દીધા હતા. વિધાર્થીઓએ પણ પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા ભવાઈ કાર્યક્રમને ભરપૂર માણી જીવન ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું.આમ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે એન.એસ.એસ. પ્રવૃત્તિના કન્વીનર શ્રી જીગરભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.