અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા 16 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી બે દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી 16 લાખની ઠગાઈ કરાઈ હતી. અંકલેશ્વરની નિલ માધવ રેસીડેન્સીમા રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે 2 તારીખે સવારે 11 કલાકે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડિયો કોલ આવતા દિલ્હી સાઇબર ક્રાઈમ પોલીસ માંથી વિનોય કુમાર બોલું છું તેમ કહી ધમકીઓ આપી હતી. તમારા ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે 20 ટકા કમિશન લીધું છે તેમ કહી બે દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને દંપતિ પાસેથી 16 લાખ પડાવી લેવામાં આવ્યાં હતાં. આ પૈસા બંસીલાલના નામે ઇન્ડસન્ડ બેંકમાં જમા કરાવડાવ્યાં હતાં. આ મામલે ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે રાજકોટના અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી છે.આરોપીઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ઠગાઈથી મેળવેલ રૂપિયા કોને આપ્યા હતા એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.