દાહોદ GRP પોલીસ પરિવાર દ્વારા ASI ભાવસીંગભાઈ ભુરીયાનો ભવ્ય વિદાય સંભારંભ યોજાયો: ૩૦ વર્ષની સરાહનીય સેવા બાદ વય નિવૃત્ત થયા

તા.૦૧.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ GRP પોલીસ પરિવાર દ્વારા ASI ભાવસીંગભાઈ ભુરીયાનો ભવ્ય વિદાય સંભારંભ યોજાયો: ૩૦ વર્ષની સરાહનીય સેવા બાદ વય નિવૃત્ત થયા
દાહોદ રાજકીય રેલ્વે પોલીસ સ્ટેશન (GRP) ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ભાવસીંગભાઈ ભુરીયાનો વય નિવૃત્તિ વિદાય સંભારંભ યોજાયો હતો. દાહોદ GRP પોલીસ પરિવાર દ્વારા ખૂબ જ ભાવભીના અને ગરિમાપૂર્ણ વાતાવરણમાં આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વય નિવૃત્ત થઈ રહેલા ASI ભાવસીંગભાઈ ભુરીયાએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સતત ૩૦ વર્ષ સુધી પોતાની પ્રશંસનીય, નિષ્ઠાપૂર્વકની અને યાદગાર સેવાઓ આપી છે.તેમની ત્રણ દાયકાની લાંબી પોલીસ કારકિર્દી દરમિયાન તેમણે વિવિધ સ્ટેશનો પર ફરજ બજાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેમાં તેમણે વડોદરામાં ૬ વર્ષ, વાપીમાં ૨૦ વર્ષ અને પોતાની નોકરીના અંતિમ તબક્કામાં દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ૩ વર્ષ સુધી પોતાની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય ફરજ બજાવી હતી. તેમની આ નિઃસ્વાર્થ લાંબી સેવા બદલ સમગ્ર વિભાગે તેમને બિરદાવ્યા હતા.આ વિદાય સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એચ. વી. તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના PI જે. બી. રાઠોડ, રેલ્વે પોલીસનો તમામ સ્ટાફ તેમજ નિવૃત્ત થઈ રહેલા અધિકારી ભાવસીંગભાઈ ભુરીયાનો પરિવાર પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યો હતો.ઉપસ્થિત મહાનુભાવો અને પોલીસ સ્ટાફ દ્વારા નિવૃત્ત થતા ASI ભાવસીંગભાઈ ભુરીયાને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન એનાયત કરી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ તેમના સેવાકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમની ફરજ પ્રત્યેની વફાદારીની પ્રશંસા કરી હતી. સમગ્ર પોલીસ પરિવારે ભાવસીંગભાઈ
ભુરીયાના આગામી નિવૃત્ત જીવનની સુખાકારી, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.




