
તા.
૦૮.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જાંબુઆ ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર ઉપલબ્ધ કરાવવા માટે નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં IMPACT INDIAની PSMRI ટીમ તથા KHPTના સહયોગથી જાંબુઆ ગામના સરપંચના હસ્તે ગામના કુલ ૪ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ્માન આરોગ્ય મંદિર જાંબુઆના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તેમજ પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ટીબીના દર્દીઓ માટે દવાઓની સાથે પોષણયુક્ત અને સંતુલિત આહાર પણ એટલો જ મહત્વપૂર્ણ છે. નિક્ષય પોષણ કીટ દર્દીઓને જરૂરી પોષણ મળી રહે તે માટે સહાયક બનશે, જેના કારણે સારવારની અસરકારકતા વધશે અને દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકશે.ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમાજના વિવિધ વર્ગો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આવા કાર્યક્રમોનું આયોજન કરી દર્દીઓને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રકારના પ્રયાસો દ્વારા “ટીબી હારશે, દેશ જીતશે” ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દાહોદ જિલ્લો સતત કાર્યરત છે




