
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના માલેગામ (સાપુતારા) ખાતે તા. 20/05/2026ના રોજ જગદગુરૂ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્ય મહારાજના રામાનંદ સંપ્રદાય ડાંગ દ્વારા ભવ્ય સંતસંગ કેન્દ્ર ખાતે પ્રબોધન-પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ ઉપરાંત મહારાષ્ટ્રના સુરગાણા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન પાલખીયાત્રા, હરિપાઠ, આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.આ પ્રસંગે જગદગુરૂ નરેન્દ્ર મહારાજ સંસ્થાનના પ્રબોધનકાર કાલિદાસ ઉરાડેએ ઉપસ્થિત ભાવિકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતુ.પોતાના પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે, “નર સેવા એ જ નારાયણ સેવા છે.” તેમણે સંસ્થાન દ્વારા સમાજહિત માટે ચાલી રહેલા ૪૧ પ્રકારના સામાજિક સેવા ઉપક્રમોની માહિતી આપતાં જણાવ્યું કે, હજારો લોકો આ સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લઈ રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે સંસ્થાન દ્વારા વ્યસનમુક્તિ અભિયાન, રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, દેહદાન અને અવયવદાન પ્રેરણા, અકસ્માત સમયે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા, પૂર રાહત કામગીરી, કુદરતી આપત્તિમાં સહાય, સ્વચ્છતા અભિયાન તથા “બ્લડ એડ નીડ” જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. સાથે જ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા તથા જતન માટે પણ સંસ્થાન નિરંતર કાર્યરત હોવાનું જણાવ્યું હતુ.આધ્યાત્મિક માર્ગદર્શન આપતા તેમણે ભાવિકોને દરરોજ ઓછામાં ઓછા ૧૦ મિનિટ ભક્તિ કરવા તેમજ “સ્વપ્નમાં પણ કોઈનું ખરાબ ન વિચારવું” એવી પ્રેરણા આપી હતી. જગદગુરૂનાં પરોપકારી મંત્ર “તમે જીવો અને બીજાને જીવવામાં સહાય કરો”નું પાલન કરીને પોતાનું તેમજ સમાજનું કલ્યાણ કરવા તેમણે અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિકોએ તલ્લીનતા અને મંત્રમુગ્ધ ભાવથી પ્રવચનનો લાભ લઈને આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી..





